બાકી નીકળતો પગાર લેતા પહેલા ભાડું ભરવું જરૂરી હતું
યુનિવર્સીટીના જ પ્રોફેસરે વિજયકુમારની લાયકાતને કોર્ટમાં પડકારી હતી :
( પ્રતિનિધી )વડોદરા,તા.31
મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં વિવાદનો પર્યાય બનેલા પ્રો.ડો.વિજય કુમાર શ્રીવાસ્તવે રાજીનામુ આપ્યા બાદ બંગલામાં ચીટકી રહ્યા હતા. જેની સામે ઘણો વિરોધ પણ થયો હતો. જોકે, આખરે છ મહિના બાદ તેઓએ બાકી રહેલું ભાડુ ચૂકવ્યું હતું. જે બાદ તેઓને એનઓસી આપવામાં આવી હતી.
મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીના પૂર્વ વાઈસ ચાન્સેલર ડો.વિજય કુમાર શ્રીવાસ્તવે રાજીનામુ આપ્યાના 6 મહિના બાદ બંગલામાં રહેવા બદલ બાકી રૂપિયા બાવન હજાર ભાડું ચૂકવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. પ્રોફેસર તરીકે દસ વર્ષનો અનુભવ નહીં હોવાથી ડો.વિજયકુમાર શ્રીવાસ્તવ વાઈસ ચાન્સેલરના હોદ્દા પર રહી ના શકે તે મુદ્દે યુનિવર્સીટીના જ પ્રોફેસર દ્વારા હાઈકોર્ટમાં દાખલ થયેલી પિટિશન બાદ તા.8 જાન્યુઆરીએ ડો.શ્રીવાસ્તવે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરપદેથી રાજીનામુ આપ્યું હતું. જોકે તેમણે 15 માર્ચ સુધી વાઈસ ચાન્સેલરનું સત્તાવાર નિવાસ સ્થાન ખાલી કર્યું નહોતું. જેના પગલે યુનિવર્સિટી દ્વારા તેમને માર્કેટ રેટ પ્રમાણે ભાડું ભરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. આ રકમ 52 હજાર રૂપિયા જેટલી થતી હતી. ડો.શ્રીવાસ્તવે જોકે બંગલો ખાલી કરતી વખતે આ ભાડું ભર્યું નહતું. યુનિવર્સીટીના વર્તુળોનું કહેવું છે કે પ્રોફેસર ડો.વિજયકુમાર શ્રીવાસ્તવને કેટલાક દિવસનો પગાર લેવાનો બાકી નીકળતો હતો અને તે પગાર લેતા પહેલા ભાડું ભરવું જરૂરી હતું. આખરે 6 મહિના બાદ તેમણે ભાડું જમા કરાવ્યું છે અને એ પછી તેમને એનઓસી આપવામાં આવી હતી.