મોગલ સામ્રાજ્યમાં કટ્ટરવાદી બેરહેમી બાદશાહ ઔરંગઝેબે એના શાસનમાં હિન્દુઓ પર કત્લેઆમ ચલાવી હતી. હિન્દુઓનાં મંદિરો તોડી પાડયાં હતાં. હિન્દુ સમાજની મોઢેરામાં આવેલા કુળદેવીના મંદિરને પણ તોડી પાડવામાં આવ્યું હતું. સમસ્ત મોઢ સમાજ આ કુળદેવીના મંદિર પ્રત્યે બેહદ આસ્થા ધરાવે છે. વારતહેવારે દેશભરમાંથી એના પરમ ભકતો એના દર્શન માટે આવે છે. કેટલાક દર મહિને પૂનમ ભરવા માટે ભકતો નિયમિત આવે છે. પોતાની માનતા પૂરી કરી ધન્યતાનો અનુભવ કરે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વતનથી નજીક આવેલા આ મોઢેશ્વરી માતાનો તાજેતરમાં 31મી જાન્યુઆરીના રોજ પાટોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી.
આ શહેરમાં પણ ઠેર ઠેર મોઢેશ્વરી માતાની ઉજવણી શાનદાર રીતે કરવામા આવી. અમારા વિસ્તારમાં આવેલા બાલાજી રોડ પરના મોઢેશ્વરી માતાની ઉજવણી પણ ઉમંગ ઉત્સાહથી કરવામાં આવી. વહેલી સવારથી દર વર્ષની જેમ સુરતવાસીઓએ આરતી પૂજામાં ભકતોએ પૂરા ભકિત ભાવથી એનો લાભ લીધો. આયોજકો તરફથી પ્રસાદ, મહાપ્રસાદ અને સાંજે મિષ્ટાન્ન સહિત પાકું ભોજન આપવામાં આવ્યું. હવે દિન-પ્રતિદિન સુરતી મોઢ વણિક સમાજની પેઢીનાં યુવકો યુવતીઓ હોંશે હોંશે હાજર રહી માતાજીનાં દર્શન કરે છે એ એક સારી નિશાની ગણાય. એ લોકોમાં ભકિતનો રંગ વધુ જોવા મળ્યો. બહુ ભારી ભીડ વચ્ચે શાંતિ જળવાઈ રહી. આયોજકોને ધન્યવાદ આપવા પડે. મોઢેશ્વરી માતાનો પાટોત્સવ યાદગાર બની ગયો. જય મોઢેશ્વરી માતા.
ગોપીપુરા, સુરત – જગદીશ પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.