હાલોલ :
ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવતા માઈભક્તો માટે મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે. પાવાગઢ માચી ઉપર ચાલતી રોપવે સેવા (ઉડન ખટોલા) આગામી છ દિવસ માટે બંધ રાખવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પાવાગઢ ખાતે રોપવે સંચાલન કરતી ઉષા બ્રેકો કંપની લિમિટેડ દ્વારા જરૂરી મેન્ટેનન્સ કાર્ય હાથ ધરવામાં આવનાર હોવાથી તારીખ 16 ફેબ્રુઆરી 2026થી 21 ફેબ્રુઆરી 2026 સુધી રોપવે સેવા સંપૂર્ણ રીતે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન રોપવેની ટેકનિકલ તપાસ, સુરક્ષા સંબંધિત કામગીરી અને નિયમિત જાળવણી કરવામાં આવશે.
કંપની દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, મેન્ટેનન્સ પૂર્ણ થયા બાદ રોપવે સેવા ફરીથી નિયમિત રીતે શરૂ કરવામાં આવશે. યાત્રાળુઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પણ જણાવાયું છે.
પાવાગઢ આવતા ભક્તોને તથા સ્થાનિક નાગરિકોને કોઈ અનાવશ્યક મુશ્કેલી ન પડે તે માટે રોપવે સંચાલનના જવાબદાર અધિકારીઓ દ્વારા અગાઉથી જ માહિતી જાહેર કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન યાત્રાળુઓને પરંપરાગત માર્ગનો ઉપયોગ કરીને મંદિર સુધી પહોંચવું પડશે.
ઉલ્લેખનીય છે કે પાવાગઢ રોપવે સેવા દરરોજ મોટી સંખ્યામાં ભક્તોને સહેલાઈથી માચી સુધી પહોંચવામાં મદદરૂપ બને છે, ત્યારે આ છ દિવસ માટે સેવા બંધ રહેતા યાત્રાળુઓને પોતાની મુલાકાતનું આયોજન તે મુજબ કરવા અપીલ કરવામાં આવી છે.
રિપોર્ટર: યોગેશ ચૌહાણ