ભાડા બમણા લેવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ :
સવારે 5 કલાકે ગયેલા શ્રદ્ધાળુઓ પરિક્રમા કર્યા વિના પરત ફર્યા :
( પ્રતિનિધિ )વડોદરા,તા.13
શનિવાર અને રવિવારની રજામાં નર્મદા પરિક્રમાના રસ્તે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. જાણે મીની કુંભ મેળો ભરાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તિલકવાડાના નાકે બંને તરફ ડભોઈ અને રાજપીપલા તરફ વાહનો ની બે – બે કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી. રામપુરા ગામ રાજપીપળા હાઈવે થી 4 કિલોમીટર ચાલીને રણછોડજી મંદિરે પહોંચવાનું અને બાદમાં 3 કલાક પછી ચાલતા જવા દેવામાં આવી રહ્યા છે. જ્યારે શ્રદ્ધાળુઓને વાહનો હાઈવે પર પાર્ક કરવાની ફરજ પડી છે.

29 માર્ચથી 27 એપ્રિલ દરમિયાન નર્મદા ઉત્તરવાહીની પરિક્રમાની આયોજન થયું છે. આ પરિક્રમામાં ગુજરાત, મહારાષ્ટ્ર , મધ્યપ્રદેશ સહિત વિવિધ રાજ્યોમાંથી પ્રતિવર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવતા હોય છે પરિક્રમાનો પ્રારંભ રામપુરા ઘાટીથી કરવામાં આવ્યો છે. રણછોડરાયના મંદિર શહેરાવ ઘાટ તિલકવાડા મણી નાગેશ્વર મંદિર રીંગણ ઘાટ અને કીડી મકોડી ઘાટ થઈને પરિક્રમા પુનઃ રામપુરા ખાતે પૂર્ણ થાય છે.
વડોદરા અને નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી લગભગ છ કિમી સુધી ઉત્તર દિશામાં વહેતી હોવાથી ચૈત્ર મહિનામાં પંચકોશી ઉત્તરવાહિની પરિક્રમાનું વિશેષ માહાત્મય છે. જોકે રવિવારે સવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ પરિક્રમામાં આવી પહોંચ્યા હતા. ચાર કિલો મીટર સુધી વાહનો પાર્ક કરાયા હતા. જેના કારણે દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા હતા. વડોદરાના મકરપુરા ખાતેથી ગયેલા શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે, પાંચ વાગ્યાના આવીને બેઠા હતા. હજી સુધી કોઈ વાહન નથી મળ્યું,અમારી સાથે સાથે ગોધરા ,અમદાવાદ , સુરત વાપી દૂર દૂરથી લોકો આવ્યા છે. કોઈ વ્યવસ્થા જ નથી.ભાડા પણ બમણા લેવામાં આવી રહ્યા છે. ઉઘાડી લૂંટ મચાવવામાં આવી રહી છે.
જ્યારે નર્મદા પરિક્રમા કર્યા વિના પરત ફરેલા વડોદરાના ડો.દિપક ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ભયંકર ભીડ છે. સવારે સાડા ચાર કલાકે હું ત્યાં પહોંચી ગયો હતો. રામપુરા. તિલકવાડા ગયો તો ત્યાં, ડભોઈથી તિલકવાડા અને તિલકવાડાથી રાજપીપળા વાળા 2 કિલો મીટર રોડ પર જબરજસ્ત પાર્કિંગ છે. ગામમાં અંદર જવા જ નથી દેતા. તિલકવાડા ગામમા અંદર કોઈને ગાડી લઈને જવા દેતા નથી. મારે રામપુરાથી જ પરિક્રમા કરવી હતી. ત્યાં ગયો તો ત્યાં પણ રોડ પર હાઇવે પર બધા વાહનો પાર્ક કરેલા છે. હાઇવે ઉપરથી ચાર કિલોમીટર ચાલીને જાઓ એટલે રામપુરા ગામ આવે અને પછી પરિક્રમા શરૂ થાય હાઇવે પર થી જ્યાં જવાનું છે. ત્યાંથી હવે તો ચાલતા પણ કોઈને જવા નથી દેતા. આગળ ખૂબ જ ભીડ હોવાના કારણે કોઈને જવા દેતા નથી રોકી દેવામાં આવે છે. ત્રણેક કલાક સુધી ઉભા રહો ત્યાર પછી ચાલતા જવા દે છે. કેટલી ભયંકર ભીડ છે ગાડી લઈને જવું હોય તો 12 – 1 વાગશે ત્યાં સુધી તમે હાઈવે ઉપર બેસી રહો એટલે એના કરતાં મેં પરત આવવાનું નક્કી કર્યું હતું.
બોટ સેવા બંધ કરી દેવાતા ઘણાની પરિક્રમા અધૂરી રહી
ગિર્ણારી પરિવારમાંથી 2 બસો 13મી એપ્રિલની રાત્રે 12 વાગે નીકળી અને 2 વાગે પહોંચી, પણ યાત્રાળુઓની સંખ્યા બહુજ હતી – લગભગ 4 થી 5 લાખ – એટલે બોટની સેવા બંધ કરી દેવાઈ, જેના કારણે ઘણા યાત્રાળુઓની પરિક્રમા અધૂરી રહી ગઈ.
