સ્થાનિકોમાં ભારે રોષ: રાત્રિના સમયે અંધારામાં મોટા અકસ્માતની ભીતિ, તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું હોય તેવો ઘાટ
વડોદરા: શહેરના વ્યસ્ત ગણાતા નટુભાઈ સર્કલ પાસે છેલ્લા કેટલાય સમયથી એક જોખમી ખાડાએ રાહદારીઓ અને વાહનચાલકોની ઊંઘ હરામ કરી દીધી છે. આ ખાડાને કારણે માત્ર અકસ્માતનું જોખમ જ નથી તોળાઈ રહ્યું, પરંતુ પાઈપલાઈનમાં ભંગાણને કારણે હજારો લિટર શુદ્ધ પીવાનું પાણી રસ્તા પર વહી રહ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, તંત્રએ માત્ર બેરિકેટ મૂકીને પોતાની જવાબદારી પૂર્ણ માની લીધી છે, જેનાથી સ્થાનિક રહીશોમાં તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે.

ઉનાળાની શરૂઆત થતા જ શહેરના અનેક વિસ્તારોમાં પાણીની બૂમરાણ મચતી હોય છે, ત્યારે નટુભાઈ સર્કલ પાસે પાઈપલાઈનમાં પડેલા ભંગાણને કારણે ચોવીસે કલાક પીવાનું પાણી રસ્તા પર વહી રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, હજારો લિટર પાણીનો આ વેડફાટ અટકાવવા માટે કોર્પોરેશન દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. “બેરિકેડથી રસ્તો નથી બનતો, કામગીરીથી બને છે!” તેમ એક રોષે ભરાયેલા રાહદારીએ જણાવ્યું હતું.

આ ખાડો એટલો ઊંડો અને જોખમી છે કે સ્થાનિકો તેને ‘મોતનો ખાડો’ કહી રહ્યા છે. રાત્રિના સમયે આ માર્ગ પર પૂરતો પ્રકાશ ન હોવાને કારણે ટુ-વ્હીલર ચાલકો માટે આ ખાડો જીવલેણ સાબિત થઈ શકે તેમ છે. માત્ર બેરિકેડ મૂકી દેવાથી અકસ્માત રોકી શકાશે નહીં, કારણ કે સાંકડા રસ્તા પર બેરિકેટને કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે.
સ્થાનિકોનું કહેવું છે કે ”તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગે છે. માત્ર આડશ મૂકી દેવાથી જવાબદારીમાંથી મુક્ત થઈ શકાય નહીં. જો જલ્દી સમારકામ નહીં થાય તો સ્થાનિકો ઉગ્ર આંદોલન કરશે.”
હવે જોવાનું એ રહે છે કે વડોદરા મહાનગરપાલિકા આ આળસ ખંખેરીને જાગે છે કે પછી કોઈ નિર્દોષનો જીવ જાય ત્યાં સુધી રાહ જોવે છે.
:- સ્થાનિકોની મુખ્ય માંગણીઓ:
*તાત્કાલિક સમારકામ: ખાડાને યોગ્ય મટીરિયલથી પૂરીને રસ્તાનું લેવલિંગ કરવામાં આવે.
*પાઈપલાઈનનું સમારકામ: પાણીનો વેડફાટ અટકાવવા માટે પાઈપલાઈનનું ભંગાણ વહેલી તકે રીપેર થાય.
*પૂરતી લાઈટિંગ: જ્યાં સુધી કામ પૂરું ન થાય ત્યાં સુધી રાત્રિના સમયે ત્યાં ચેતવણી આપતી લાઈટો કે પૂરતો પ્રકાશ રાખવામાં આવે.