Godhra

ગોધરામાં શાંતિપૂર્ણ ગણેશોત્સવની ઉજવણી માટે પોલીસે આયોજકો સાથે બેઠક યોજી, નિયમો પર ભાર મુકાયો

પ્રતિમાની ઊંચાઈ, ડીજે સ્પીકર સંખ્યા મર્યાદિત શાર્પી લાઈટ પર પ્રતિબંધ યથાવત; રેન્જ IG અને જિલ્લા SPની ઉપસ્થિતિમાં માર્ગદર્શન

પ્રતિનિધિ ગોધરા તા.29

આગામી ગણેશોત્સવ પર્વને શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે ઉજવવા માટે ગોધરા શહેર પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. ગણેશોત્સવના સુચારુ આયોજન અને કાયદો-વ્યવસ્થા જાળવવાના ઉદ્દેશ્યથી ગોધરા શહેરના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આવેલી તાલીમશાળામાં મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં ગોધરા રેન્જના આઇ.જી આર.વી. અસારી અને પંચમહાલ જિલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે વિવિધ પોલીસમથકના ઇન્સ્પેક્ટર્સ અને ગોધરા શહેરના અનેક ગણેશ મંડળોના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.

બેઠક દરમિયાન પોલીસ અધિકારીઓ દ્વારા ગણેશોત્સવના આયોજકોને પાલન કરવાના નિયમો અને માર્ગદર્શિકાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. ખાસ કરીને, શ્રી ગણેશ વિસર્જન શોભાયાત્રા દરમિયાન કયા નિયમોનું પાલન કરવું તે અંગે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો, જેથી કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા કે અનિચ્છનીય ઘટના ન બને.

આયોજકોને ગણેશજીની પ્રતિમાની ઊંચાઈની મર્યાદા તેમજ ડીજે સાઉન્ડ સિસ્ટમમાં સ્પીકરની સંખ્યા અંગે સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, જાહેર શાંતિ અને સલામતી જાળવવાના હેતુસર ડીજે સાઉન્ડ સાથે લગાવવામાં આવતી શાર્પી લાઇટ પર ચાલુ વર્ષે પણ સંપૂર્ણ પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો હોવાનું પોલીસ વિભાગ દ્વારા સ્પષ્ટપણે જણાવાયું હતુ

પોલીસ વિભાગે ઉપસ્થિત તમામ આયોજકોને નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે અપીલ કરી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ગણેશોત્સવ દરમિયાન શાંતિ અને સુવ્યવસ્થા જાળવી રાખવાનો તેમજ કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે સુનિશ્ચિત કરવાનો હતો.જેથી ગોધરા શહેર અને આસપાસના વિસ્તારોમાં ભાવિક ભક્તો ભક્તિમય માહોલમાં નિર્વિઘ્ને ઉત્સવની ઉજવણી કરી શકે.

Most Popular

To Top