બે વર્ષથી પાણીનો વિકટ પ્રશ્ન,ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી :
પાલિકાના અધિકારીઓ એક બીજા પર ખો આપી બાય બાય ચારણી કરતા હોવાના આક્ષેપ :
( પ્રતિનિધિ )વડોદરા,તા.21
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી એક વખત પાણીનો કાળો કકળાટ સામે આવ્યો છે. ખોડીયાર નગર વિસ્તારમાં આવેલ ઓમકારા ફ્લેટના રહીશોએ પૂર્વ ઝોન નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી ખાતે મોરચો માંડી પાણી પ્રશ્ને રજૂઆત કરી હતી. જો વહેલી તકેદ સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
વડોદરા શહેરમાં ઉનાળાની શરૂઆતે ફરી એક વખત પાણીનો કાળો કકળાટ શરૂ થયો છે. ત્યારે, મેયરના જ વોર્ડમાં પાણીના પ્રશ્ને આજે ખોડીયાર નગર ઓમકારા પ્લેનેટ ફ્લેટના રહીશોએ કાર્યપાલક ઇજનેર પૂર્વ ઝોનની કચેરી ખાતે મોરચો માંડીને અધિકારીને ઉગ્ર રજૂઆત કરી છે. સ્થાનિક રહીશ વાસંતીબેન જોષીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અમે રહેવા આવ્યા અને દોઢથી બે વર્ષ થઈ ગયા છે. બધી પ્રમાણે પ્રોસેસ કરી દીધો છે. પણ પાણી આવતું નથી. અમારી સાથે બાય બાય ચારણી થઈ રહી છે. અલગ અલગ કચેરીઓમાં ધક્કા ખવડાવે છે.
ટીડીએસ એટલે કે 400 ની ઉપરનું ટીડીએસ વાળું ખારું પાણી આવી રહ્યું છે. જેના કારણે લોકોને ચામડીના રોગો ઘરે નાના નાના બાળકો બીમાર પડી રહ્યા છે. મહિલાઓને તો ટાલ પડવા લાગી છે. જો પાલિકા તંત્ર ભલભલા દબાણો તોડી શકતું હોય બધી કામગીરી કરી શકતું હોય તો આ પાણીનો પ્રશ્ન કેમ નિરાકરણ લાવી શકતા નથી. તો પછી અમારી પાસે વેરો શાની માટે લેવામાં આવે છે. પાણી આપતા નથી તો વેરો લેવાનો પણ કોઈ હક નથી. આ વખતે અમે ચૂંટણીમાં કોઈને વોટ આપવાના નથી. ચૂંટણીનો અમે બહિષ્કાર કરીશું. કોર્પોરેટરો પણ એકબીજાને ખો આપી રહ્યા છે. અમારી માંગ છે કે, મેયર નો વોર્ડ આવતો હોવા છતાં જો પાણી ના મળે તો આ તદ્દન ખોટી બાબત છે. બે વર્ષથી લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અમે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જો પાણીનો નિકાલ નહીં આવે તો આગળના સમયમાં અમે કોઈપણ નેતાઓને ઘૂસવા નહીં દઈએ.