સંતોષી માતાના મંદિર પાસે સર્જાયો તંગદિલીનો માહોલ
વડોદરા:
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ખાખી પર હુમલાની ઘટના સામે આવી છે. જીવન ભારતી સ્કૂલથી બહુચરાજી મંદિર તરફ જતા માર્ગ પર ડાબી બાજુ આવેલા સંતોષી માતાના મંદિર નજીક પારિવારિક ઝઘડાની માહિતી મળતા પોલીસકર્મીઓ ત્યાં પહોંચ્યા હતા.
પોલીસ કર્મીઓ ઝઘડો શાંત કરાવવા અને પરિસ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે જ ઝઘડામાં સામેલ કેટલાક લોકોએ પોલીસકર્મીઓ સાથે ઉશ્કેરાયેલા વર્તન કરીને હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનામાં પોલીસકર્મીઓને ઇજા પહોંચી હોવાની માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને વધુ ફોર્સ સ્થળ પર દોડી આવી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.
કારેલીબાગ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી હુમલામાં સામેલ લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાને લઈને વિસ્તારમાં થોડા સમય માટે તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો.