Charotar

આણંદમાં ભગવદ્દ ગીતાનો વિરોધ કરનારા સામે રોષ

સામાજિક સમરસતા મંચ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

(પ્રતિનિધિ) આણંદ તા.4

આણંદના સામાજિક સમરસતા મંચ દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતાના જ્ઞાનનો અભ્યાસક્રમમાં સમાવેશના કેટલાક લોકો દ્વારા કરવામાં આવેલા વિરોધને લઈ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાના ભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેને કારણે કેટલાક લોકો પોતાના અંગત નિહિત સ્વાર્થ અને રાજકીય તુષ્ટિકરણ માટે તેનો વિરોધ કરી રહ્યા છે. જેને લઈ સામાજિક સમરસતા દ્વારા આણંદ કલેકટર પ્રવિણ ચૌધરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ભગવદ્ ગીતામાં દર્શાવેલા મૂલ્યો અને સિદ્ધાંતો કોઇ પણ ધર્મ-જાતિ-પંથ કે મત- સંપ્રદાયનો ઉલ્લેખ કરી અને કહેવામાં આવ્યા નથી. ભગવદ્ ગીતામાં જ્ઞાન-ભક્તિ અને કર્મયોગના નિતિગત સિદ્ધાંતો અને મૂલ્યો સમજાવ્યા છે. જે શાંતી-સલામતિ અને દેશ નિષ્ઠાથી જીવન વ્યતિત કરવા માંગતા મનુષ્ય માત્રને સમાનરૂપે લાગુ પડે છે. આ જ્ઞાન સહુ કોઈના જીવન વિકાસ માટે મહત્ત્વનું છે. અદાલતોમાં આજે પણ શ્રીમદ ભગવદ્ ગીતાના નામે શપથ લેવાય છે. એ સત્ય-નિષ્ઠા-ન્યાય અને પ્રામાણિકતાનુ પ્રતિક છે. જે વિશ્વના પ્રત્યેક મનુષ્યને સમાન રીતે લાગુ પડે છે. ભારતીય બંધારણના ઘડવૈયા ડો.આંબેડકરે પોતાના સામાયિકોમાં ભગવદ્ ગીતાના શ્લોકોનો આધાર લઈ સત્ય સ્થાપના, સત્યાગ્રહ, અસમાનતા અને અસ્પૃશ્યતાનો છેદ ઉડાડવામાં આવ્યો છે. જીવન જીવવાના મૂલ્યો નિર્દેશ કરતી ગીતા એ ધાર્મિક ગ્રંથની સાપેક્ષ આદર્શ માર્ગદર્શક સિદ્ધાંતો છે. ભગવદ ગીતામાં દર્શાવેલા સદગુણોનું વિદ્યાર્થીઓના પ્રારંભિક જીવનમાં સંવર્ધન થાય તે ભવિષ્યના પ્રબુદ્ધ અને શક્તિશાળી ભારત માટે અનિવાર્ય છે.  શ્રીમદ ભગવદ્ ગીતાના જીવનમૂલ્યોના પાઠ કોઈપણ ભેદભાવ વિના ભણાવવામાં આવે અને  તેને કોઈપણ જાતના વિરોધથી વિચલિત થયા વિના ચાલુ રાખવા સામાજિક સમરસતા મંચ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સામાજિક સમરસતા મંચ આણંદ જિલ્લાના કાર્યકર્તા, સામજીક અને ધાર્મિક સંસ્થાના લોકો, ઉપરાંત બાળકો, ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Most Popular

To Top