કૈલાશભૂમિ પાસે આવેલા લાકડાના પીઠામાં આગ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં
આણંદ:
આણંદ શહેરમાં કૈલાશભૂમિની બાજુમાં આવેલી અંબિકા શો-મિલ (લાકડાના પીઠા)માં બુધવારના રોજ વહેલી સવારે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ સવારે અંદાજે 4:15 કલાકે આગ લાગ્યાનો કોલ કરમસદ-આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના કંટ્રોલ રૂમમાં મળ્યો હતો.

આગની જાણ થતા જ આણંદ ફાયર ઓફિસર ધર્મેશ ગોરની સૂચના મુજબ ફાયર ફાઈટર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ડ્રાઈવર હિતેન ઠાકોર તેમજ ફાયરમેન રઘુવીરસિંહ પઢીયાર, કૃષ્ણરાજસિંહ રાઉલજી અને વિશાલકુમાર પઢિયાર દ્વારા સમયસર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
ફાયર વિભાગની ઝડપી અને અસરકારક કામગીરીને કારણે મોટી હોનારત ટળી હતી. સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. આગના કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.