National

ભૂખ હડતાલ પર ઉતરેલા યાસીન મલિકની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ

નવી દિલ્હી: આતંકી સંગઠન જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF)ના ચીફ યાસીન મલિકે(Yasin Malik) ગત શુક્રવારથી તિહાર જેલ(Tihar Jail)માં ભૂખ હડતાલ(Hunger Strike) શરૂ કરી દીધી હતી. જેલના સૂત્રોના જણાવ્યા અનુસાર, યાસીને માંગ કરી છે કે તેની સામેના પેન્ડિંગ કેસની યોગ્ય તપાસ થવી જોઈએ. અત્યાર સુધી તિહાર જેલમાં ભૂખ હડતાળ પર બેઠેલા કાશ્મીરી અલગતાવાદી નેતા(Kashmiri separatist leader) યાસીન મલિકને IV પ્રવાહી આપવામાં આવી રહ્યું હતું. રૂબૈયા સઈદના અપહરણ કેસના આરોપી યાસીને જમ્મુની કોર્ટમાં સુનાવણી માટે શારીરિક રીતે હાજર રહેવાની પરવાનગી માંગી હતી, પરંતુ કેન્દ્ર સરકારે જવાબ આપ્યો ન હતો. જેના વિરોધમાં તેમણે ભૂખ હડતાળ શરૂ કરી હતી.

અધિકારીઓનાં સમજાવવા છતાં ન માન્યો
યાસીને અગાઉ જેલ પ્રશાસનને ભૂખ હડતાળ અંગે જાણ કરી હતી. હડતાળ શરૂ કર્યા બાદ જેલ પ્રશાસને તેને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે પોતાની માંગ પર અડગ રહ્યો હતો. જેલના અધિકારીઓએ જણાવ્યું કે યાસીન મલિક તિહાર જેલની ઉચ્ચ સુરક્ષા સેલમાં બંધ છે. શુક્રવારે તેને સવારે નાસ્તો આપવામાં આવ્યો હતો, પરંતુ તેણે નાસ્તો કરવાની ના પાડી દીધી હતી. તેણે જેલકર્મીઓને કહ્યું કે તે આજથી ભૂખ હડતાળ પર છે અને આ અંગે જેલ પ્રશાસનને જાણ કરી દીધી છે. જેલમાં તૈનાત અધિકારીઓએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેણે સ્પષ્ટ ના પાડી દીધી હતી.

આ કેસમાં થઈ છે મલિકને આજીવન કેદની સજા
દિલ્હીની એક કોર્ટે 25 મેના રોજ કાશ્મીરી અલગતાવાદી નેતા યાસીન મલિકને આજીવન કેદની સજા સંભળાવી હતી. મલિકને “આતંકવાદી” પ્રવૃત્તિઓ માટે ભંડોળ એકત્ર કરવા બદલ સજા કરવામાં આવી હતી. તેણે તેની સામેના મોટા ભાગના આરોપો સ્વીકારી લીધા. યાસીને કોર્ટમાં કહ્યું હતું કે તે આતંકવાદીઓ માટે ભંડોળ એકત્ર કરવા, આતંકવાદી પ્રવૃત્તિ, આતંકવાદી ષડયંત્ર, આતંકવાદી જૂથનો સભ્ય બનવાનું અપરાધિક કાવતરું અને દેશદ્રોહના આરોપોને પડકારશે નહીં.

યાસીન પર ગંભીર આરોપો
જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટના અધ્યક્ષ યાસીન વર્ષ 1990માં જમ્મુ-કાશ્મીરમાં અલગાવવાદી હિંસાનો મુખ્ય આર્કિટેક્ટ હતો. મે 2022 માં, તેને ગુનાહિત ષડયંત્ર અને રાજ્ય વિરુદ્ધ યુદ્ધ કરવા માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. આ કેસમાં તે આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. યાસીન પર 1990માં એરફોર્સના 4 જવાનોની હત્યા કરવાનો આરોપ છે. એરફોર્સના જવાનો પર આ હુમલો 25 જાન્યુઆરી 1990ના રોજ થયો હતો. ત્યારબાદ આ જવાનો શ્રીનગરના એરપોર્ટ પર બસની રાહ જોઈ રહ્યા હતા. આ હુમલામાં 4 શહીદ થયા હતા અને લગભગ 40 લોકો ઘાયલ થયા હતા.

Most Popular

To Top