Comments

શું યુકેના નવા વડા પ્રધાન ભારત સાથેના સંબંધોને વધુ સુધારશે?

ગયા અઠવાડિયે યોજાયેલી સંસદીય ચૂંટણીમાં વર્તમાન ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીને હરાવીને તેમની લેબર પાર્ટીએ પ્રચંડ વિજય મેળવ્યો ત્યાર બાદ કીર સ્ટાર્મર સત્તાવાર રીતે યુકેના નવા વડા પ્રધાન બની ગયા. લેબરે 412 બેઠકો મેળવી છે અને 25 વર્ષમાં સૌથી મોટી બહુમતી સરકાર બનાવી છે. ભારતમાં ઘણા લોકો માટે સુનકની હાર કંઈક અંશે વ્યક્તિગત લાગશે. કારણ કે, તેમને એ વાતનો ગર્વ છે કે તેઓ એશિયાઈ મૂળના પ્રથમ બ્રિટીશ વડા પ્રધાન હતા, જેનો જન્મ ભારતીય વંશમાં થયો હતો. એક એવો સંબંધ જેની તેઓએ પુષ્ટિ પણ કરી હતી.

યુકેમાં ભારતીય મૂળના 19 લાખ લોકો રહે છે, જે એકંદર વસ્તીના 2.5 ટકાથી વધુ છે. જોકે, ભારતે લેબર સરકાર હેઠળ બ્રિટનથી આઝાદી મેળવી હોવા છતાં તાજેતરમાં કન્ઝર્વેટિવ્સ હેઠળ બ્રિટન સાથેના તેના સંબંધો વધુ સારા રહ્યા છે. લેબર પાર્ટીની અંદર એક મજબૂત પાકિસ્તાન તરફી લોબી નીતિને પ્રભાવિત કરવાનો નિષ્ફળ પ્રયાસ કરે છે, જેથી ઘણા ભારતીયો વિમુખ થઈ જાય છે. પરંતુ કીર સ્ટાર્મર એક વ્યવહારિક રાજકારણી છે. વડા પ્રધાન તરીકે તેઓ ભારત સાથે સારા સંબંધો જાળવી રાખવાનો પ્રયાસ કરશે. જોકે, કોઈ પણ અપેક્ષા રાખી શકે છે કે, લેબર સરકાર માનવાધિકારના ઉલ્લંઘન અને લઘુમતીઓ સાથે કોઈ પણ અનુચિત વ્યવહાર માટે ભારતની ટીકા કરશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સુનકના પ્રયાસો છતાં ભારત-યુ.કે. મુક્ત વેપાર કરાર પૂર્ણ થઈ શક્યો નથી. તમામની નજર તેના પર રહેશે કે, સ્ટાર્મરની સરકાર કેટલી ઝડપથી આ કામ કરી શકે છે. કારણ કે, તેની પ્રાથમિકતાઓ અર્થતંત્રને મજબૂત કરવાની હશે. સ્ટાર્મરની પ્રાથમિકતા ભારત સાથે એક મુક્ત વેપાર કરાર પૂર્ણ કરવાની રહેશે, જેના પર અગાઉની સરકારે પહેલેથી જ વ્યાપક પાયાનું કામ કરી લીધું છે. ભારતીય વિદ્યાર્થીઓ, આરોગ્ય કર્મચારીઓ અને નાણાકીય અને કમ્પ્યુટર નિષ્ણાતો બ્રિટીશ અર્થતંત્ર અને વ્યાપક સમાજમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને તે બ્રિટનમાં નવી સરકાર હેઠળ પણ આ જ સ્થિતિ રહેવાની સંભાવના છે. જાન્યુઆરી 2022માં શરૂ થયેલી ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) વાટાઘાટોનો ઉદ્દેશ્ય ભારતના વિશાળ અને વિકસતા બજાર સુધી પહોંચ આપીને અને ઉચ્ચ ટેરિફ અવરોધોને બાયપાસ કરીને આર્થિક સંબંધોને વધારવાનો છે. કરારમાં માલ, સેવાઓ, રોકાણ અને બૌદ્ધિક સંપદા અધિકારો સહિત 26 પ્રકરણો આવરી લેવામાં આવ્યા છે.

ભારત અને યુકે વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 2022-23માં 20.36 બિલિયન અમેરિકન ડોલરથી વધીને 2023-24માં 21.34 બિલિયન ડોલર થયો છે. સ્ટાર્મરનું નેતૃત્વ ચાલુ એફટીએ ચર્ચાઓને અસર કરી શકે છે. ભારત સાથે એફટીએ પર સ્ટાર્મરનું વલણ લેબર પાર્ટીના 2024ના ચૂંટણી ઢંઢેરામાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું છે, જેમાં “ભારત સાથે નવી વ્યૂહાત્મક ભાગીદારી બનાવવી, જેમાં મુક્ત વેપાર કરારનો સમાવેશ થાય છે, તેમ જ સુરક્ષા, શિક્ષણ, તક્નિકી અને આબોહવા પરિવર્તનમાં સહકારને ગાઢ બનાવવાનો સમાવેશ થાય છે.”ની યોજનાઓની રૂપરેખા આપવામાં આવી છે.

ભૂતકાળમાં કાશ્મીર પર લેબર પાર્ટીનું વલણ અને પાકિસ્તાન માટે તેના કથિત સમર્થનને કારણે ભારત અને બ્રિટીશ ભારતીય સમુદાય સાથેના સંબંધોમાં ઓટ આવી છે. જેરેમી કોર્બીનના નેતૃત્વ હેઠળ લેબર પાર્ટીએ 2019માં એક ઠરાવ પસાર કર્યો હતો, જેમાં “કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપ અને યુએનના નેતૃત્વમાં જનમત સંગ્રહની હાકલ”ને સમર્થન આપવામાં આવ્યું હતું. ભારતે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કર્યા પછી તે આવ્યું હતું. જોકે, સ્ટાર્મરે સુધાર કરવાની માંગ કરી છે. લેબર પાર્ટી અને ભારત વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોમાં ફાળો આપનાર અન્ય મુદ્દો એ પાર્ટીની અંદર ખાલિસ્તાન તરફી વિચારોની હાજરી છે.

જોકે, સ્ટાર્મરે યુકેમાં ભારતીય ડાયસ્પોરા સાથેના તણાવપૂર્ણ સંબંધોને સુધારવાની ઝુંબેશ દરમિયાન ઘરેલું આઉટરીચ પ્રયાસો શરૂ કર્યા હતા. તેમણે હિન્દુફોબિયાની નિંદા કરી હતી અને દિવાળી અને હોળી જેવા સાંસ્કૃતિક તહેવારોની ઉજવણી કરી હતી. આ સંકેતોનો ઉદ્દેશ્ય બ્રિટીશ-ભારતીય સમુદાયો વચ્ચે વધુ વિશ્વાસ અને સમાવેશને પ્રોત્સાહન આપવાનો હતો. ભારતે સ્ટાર્મરની ઉચ્ચ હોદ્દાની ધારણાની અપેક્ષા રાખી હતી અને લેબર પાર્ટી સાથે સંબંધો મજબૂત કર્યા.

સ્ટાર્મરે ભારતીય અધિકારીઓને ખાતરી આપી હતી કે, એકવાર તેઓ સત્તામાં આવ્યા પછી હાઉસ ઓફ કોમન્સમાં ભારત વિરોધી કટ્ટરપંથીઓ પર લગામ લગાવશે. તે આમ કરી શકે છે. કારણ કે, સ્ટાર્મરે નવી સંસદમાં તેના વિશાળ બહુમત માટે હાંસિયાના જૂથોના ટેકાની જરૂર નથી પડી. દરમિયાન, મોદીએ યુકેના નવા ચૂંટાયેલા પીએમને અભિનંદન આપ્યા અને બંને દેશો વચ્ચે ‘સકારાત્મક અને રચનાત્મક સહયોગ’ની આશા વ્યક્ત કરી હતી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top