Sports

ગૌતમ ગંભીરને શા માટે ભારતીય ટીમના હેડ કોચ બનવામાં લાગી વાર, સામે આવ્યું મોટું કારણ

મુંબઇ: ભારતીય ક્રિકેટ ટીમે (Indian Cricket Team) 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપ જીત્યો છે. ત્યારે આ ઐતિહાસિક જીત બાદ ભારતીય ટીમમાં ઘણા ફેરફારો થયા છે. જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. તેમજ રાહુલ દ્રવિડનો કોચ તરીકેનો કાર્યકાળ પૂરો થયો હતો. ત્યારે ભારતીય ક્રીકેટ ટીમના પૂર્વ ખેલાડી ગૌતમ ગંભીરને (Gautam Gambhir) હાલ ક્રિકેટ ટીમના કોચ બનવા માટે અપ્રોચ કરવામાં આવ્યા છે.

દ્રવિડના કાર્યકાળના અંત બાદ ભારતીય ટીમ ઝિમ્બાબ્વે સામેની પાંચ મેચની T20 શ્રેણી માટે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના વડા વીવીએસ લક્ષ્મણના નેતૃત્વમાં ગઈ છે. આ પછી ભારતે શ્રીલંકાનો પ્રવાસ કરવાનો છે અને માનવામાં આવે છે કે શ્રીલંકા પ્રવાસ પહેલા ટીમને નવા મુખ્ય કોચ મળી જશે. જોકે કોચની જાહેરાત કરવામાં વિલંબ થઈ રહ્યો છે અને ટીમ હજુ સુધી કોચ શોધી શકી નથી. આવી સ્થિતિમાં સવાલો ઉઠી રહ્યા છે કે ભારતીય ટીમને નવા કોચ ક્યારે મળશે?

એક રિપોર્ટ અનુસાર ગંભીર અને BCCI વચ્ચે પગારને લઈને મામલો અટવાયેલો છે જેના કારણે કોચની સત્તાવાર જાહેરાત હજુ થઈ નથી. દ્રવિડ ઉપરાંત બેટિંગ કોચ વિક્રમ રાઠોડ, બોલિંગ કોચ પારસ મ્હામ્બરે અને ફિલ્ડિંગ કોચ ટી. દિલીપનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો છે. ત્યારે ગંભીરના નામની સત્તાવાર જાહેરાત બાદ બોર્ડે અન્ય કોચિંગ સ્ટાફની નિમણૂક અંગે પણ નિર્ણય લેવાનો છે. તેમજ એવા પણ અહેવાલ છે કે બીસીસીઆઈએ ગંભીરને સપોર્ટ સ્ટાફ પસંદ કરવા માટે પણ છૂટ આપી છે. ત્યારે એવું પણ માનવામાં આવે છે કે બેટિંગ કોચની નિમણૂક કરવાની જરૂરિયાત પણ નથી કારણ કે ગંભીર પોતે પોતાના સમયમાં ટોચના ઓપનિંગ બેટ્સમેન હતા.

BCCI સેક્રેટરી જય શાહે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે, ‘કોચ અને સિલેક્ટરની નિમણૂક ટૂંક સમયમાં કરવામાં આવશે. CSC એ ઇન્ટરવ્યુ હાથ ધર્યા પછી બે ઉમેદવારોના નામ ફાઇનલ કર્યા છે અને અમે મુંબઈ પહોંચ્યા પછી લીધેલા નિર્ણય પર આગળ વધીશું. નવા કોચ શ્રીલંકા શ્રેણી પહેલા ટીમ સાથે જોડાશે. ત્યારે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની T20 અને 3 મેચની ODI શ્રેણી રમાશે. તેમજ આ શ્રેણી 27 જુલાઈથી શરૂ થશે.

ગૌતમ ગંભીરનો પગાર દ્રવિડ કરતાં વધુ હશે
અહેવાલો મુજબ ગૌતમ ગંભીર અને બીસીસીઆઈ વચ્ચે પગાર અંગે હજુ સુધી વાતચીત થઈ નથી. પગાર અંગેની વાટાઘાટો અંતિમ તબક્કામાં છે. ત્યારે ગંભીરનો પગાર નક્કી થતાં જ ભારતીય ક્રિકેટ બોર્ડ તેમના નામની જાહેરાત કરશે. BCCIએ ભારતીય ક્રિકેટ ટીમ (પુરુષ)ના મુખ્ય કોચના પગારને લઈને વિકલ્પો ખુલ્લા રાખ્યા છે. જેના માટે અરજીકર્તાને પહેલાથી જ જણાવવામાં આવ્યું હતું કે પગાર બાબતે ચર્ચા કરવામાં આવશે તેમજ તે અનુભવને આધારે નક્કી કરવામાં આવશે. ત્યારે ગંભીરને અગાઉના કોચ રાહુલ દ્રવિડ કરતાં વધુ પગારની અપેક્ષા છે. અગાઉ રાહુલ દ્રવિડને વાર્ષિક આશરે 12 કરોડ રૂપિયા મળતા હતા.

Most Popular

To Top