National

‘જે કરશે જાતિની વાત, તેને મારિશ જોરથી લાત’- નીતિન ગડકરી

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા નીતિન ગડકરીએ આજે શુક્રવારે ગોવામાં (Goa) એક કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. ત્યારે આ સભા દરમિયાન તેમણે જાતિવાદની રાજનીતિને લઈને કડક નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે દેશમાં જે કોઈ જાતિવાદની વાત કરશે, તેને સખત સજા આપવામાં આપશે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગોવાના તાલેગાંવમાં બીજેપી ગોવા રાજ્ય કારોબારીની બેઠકને સંબોધી હતી. ત્યારે જાતિવાદ અને અસ્પૃશ્યતા પર ગડકરીએ હુમલો કર્યો હતો અને નીતિન ગડકરીએ કહ્યું હતું, ‘જે કોઈ જાતિ વિશે વાત કરશે, હું તેને જોરથી લાત મારીશ’. ગડકરીએ વધુમાં કહ્યું કે મહારાષ્ટ્રમાં ખૂબ જ જાતિવાદ છે. કોઈ પણ વ્યક્તિ પોતાની જાતિથી મોટો થતો નથી, તે પોતાના ગુણોથી મોટો થાય છે. સમાજમાંથી અસ્પૃશ્યતા અને જાતિવાદ ખતમ થવો જ જોઈએ.

ગડકરીએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ સતત મતદારોનો વિશ્વાસ જીત્યો છે. ત્યારે તેમણે ભાજપના નેતાઓને એવી ભૂલ ન કરવા જણાવ્યું હતું કે જેના કારણે કોંગ્રેસ સત્તાથી બહાર થઈ ગઈ હતી. ગડકરીએ સ્પષ્ટ કહ્યું કે, ‘જો આપણે કોંગ્રેસની જેમ કામ કરતા રહીશું તો કોંગ્રેસના સત્તામાંથી બહાર જવાનો કોઈ ફાયદો નથી અને આપણો સત્તામાં આવવાનો કોઈ ફાયદો નથી.’

નીતિન ગડકરીએ મુસ્લિમોને આ વાત કહી
નીતિન ગડકરીએ કહ્યું કે જે કોઈ પણ કરશે જાતિની વાત, તેને જોરથી મારિશ લાત. હું જ્ઞાતિમાં માનતો નથી. કોઇ પણ નાગરિક જ-તે જ્ઞાતિનો હોય મને કોઈ વાંધો નથી. હું એકવાર મુસ્લિમ પ્રસંગમાં પણ ગયો હતો. ત્યારે તે પ્રસંગમાં દસ હજાર મુસ્લિમો હતા. તેમજ આ વખતે મને મુસ્લિમ મતો વધુ મળ્યા છે. છેલ્લી વખત મને ઓછા મત મળ્યા હતા, કારણ કે કેટલાક કારણોસર તેમણે (મુસ્લિમોએ) મને મત આપ્યો ન હતો.

નીતિન ગડકરીએ અડવાણીની પ્રશંસા કરી
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ‘મેં પહેલા જ કહ્યું હતું કે મતદાન કરતા પહેલા યાદ રાખજો કે હું ખાખી વાળો છું. હું આરએસએસમાંથી છું. તમે પાછળથી પસ્તાશો, પરંતુ પસ્તાવો કરતા પહેલા પહેલા વિચારો. મત આપવો હોય તો મત આપો, મત ન આપવો હોય તો મત ન આપો. જે લોકો વોટ નથી આપતા તેમના માટે પણ કામ કરીશ. જે આપે છે તેના માટે પણ હું કામ કરીશ. અમારી પાર્ટીના મૂલ્યોના કોઈ શોર્ટકટ નથી.

Most Popular

To Top