દક્ષિણ એશિયામાં ફરી એકવાર તણાવ વધ્યો છે. પાકિસ્તાને શુક્રવારની વહેલી સવારે અફઘાનિસ્તાનના મુખ્ય શહેરો કાબુલ અને કંદહાર પર હવાઈ હુમલા કર્યા હોવાના દાવા સામે આવ્યા છે. આ હુમલાઓ બાદ બંને દેશોની સરહદ પર સ્થિતિ યુદ્ધ જેવી બની ગઈ છે અને ભારે ગોળીબાર તથા વિસ્ફોટોના અહેવાલ મળી રહ્યા છે.
પાકિસ્તાની સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર આ હુમલા “કાઉન્ટર સ્ટ્રાઈક” તરીકે કરવામાં આવ્યા છે. તેમનું કહેવું છે કે અફઘાન તાલિબાન તરફથી સરહદ પર અપ્રેરિત હુમલાઓ થયા હતા, જેના જવાબમાં પાકિસ્તાની સેનાએ કાર્યવાહી કરી. બીજી તરફ અફઘાન તાલિબાનનું કહેવું છે કે પાકિસ્તાને પહેલાથી જ સરહદી વિસ્તારોમાં હુમલા કર્યા હતા અને આ કાર્યવાહી તેનો જવાબ હતી.
કાબુલના રહેવાસીઓએ શહેરમાં ભારે વિસ્ફોટોના અવાજ સાંભળ્યા હોવાના અહેવાલ આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા આપવામાં આવ્યા છે. સરહદ નજીકના વિસ્તારોમાં રહેનારા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળે જવા માટે સૂચના આપવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે.જયારે પાકિસ્તાનના માહિતી મંત્રી અત્તાઉલ્લાહ તરારે જણાવ્યું કે અફઘાન તરફથી થયેલા હુમલામાં પાકિસ્તાની સેનાના બે જવાનોના મોત થયા છે અને ત્રણ અન્ય ઘાયલ થયા છે. બીજી તરફ અફઘાન તાલિબાનના પ્રવક્તાઓએ દાવો કર્યો છે કે કાર્યવાહી દરમિયાન પાકિસ્તાની સેનાને ભારે નુકસાન થયું છે અને કેટલીક સૈનિક ચોકીઓ કબજે કરવામાં આવી છે. જોકે પાકિસ્તાનના પ્રધાનમંત્રીના કાર્યાલયે આ દાવાઓને નકારી કાઢ્યા છે.
આ તણાવ એવા સમયે વધી રહ્યો છે જ્યારે બંને દેશો વચ્ચે ઓક્ટોબરમાં જ એક નાજુક યુદ્ધવિરામ કરાર થયો હતો. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં ફરી સરહદી અથડામણો વધી ગઈ છે. બંને દેશો વચ્ચે લગભગ 1,600 માઇલ લાંબી પહાડી સરહદ છે, જ્યાં લાંબા સમયથી સુરક્ષા અને આતંકવાદના મુદ્દાઓને લઈને તણાવ રહેતો આવ્યો છે.અફઘાનિસ્તાન તરફથી એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે તેમના દળોએ પાકિસ્તાનનું એક F-16 લડાકુ વિમાન ઠાર માર્યું છે. જોકે આ દાવાની સ્વતંત્ર પુષ્ટિ હજુ સુધી થઈ નથી. હાલ બંને દેશો વચ્ચે વધતા તણાવને લઈને આંતરરાષ્ટ્રીય સમુદાય પણ ચિંતિત બન્યો છે, કારણ કે આ સંઘર્ષ વધુ મોટો સંકટ ઉભું કરી શકે છે.