National

બાંગ્લાદેશમાં હિંસા લોહિયાળ બની, અથડામણમાં 32ના મોત, મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ બંધ

નવી દિલ્હી: બાંગ્લાદેશમાં (Bangladesh) હિંસાને કારણે સ્થિતિ અનિયંત્રિત થઇ ગઇ છે. ત્યારે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ ગુરુવારે દેશના સરકારી બ્રોડકાસ્ટરને આગ ચાંપી દીધી હતી. તેમજ ઢાકામાં થયેલી હિંસામાં (Violence) ઓછામાં ઓછા 32 લોકોના મોત થયા હતા. દરમિયાન વડા પ્રધાન શેખ હસીના નેટવર્ક પર વધી રહેલી અથડામણોને શાંત કરવા માટે અપીલ કરી રહ્યા હતા.

અસલમાં હાલની અનામત નાબૂદ કરવાની અને સિવિલ સર્વિસ રિક્રુટમેન્ટના નિયમોમાં સુધારાની માંગ સાથે સેંકડો બાંગ્લાદેશીઓ વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ વિરોધીઓ પર પોલીસે પહેલા રબરની ગોળીઓ ચલાવી હતી. પરંતુ બાદમાં તોફાનીઓએ જવાબી કાર્યવાહી કરી અને પોલીસને કાબૂમાં લઇ લીધી હતી. ત્યારે ગુસ્સે ભરાયેલા ટોળાએ રાજધાની ઢાકામાં બીટીવીના હેડક્વાર્ટર સુધી અધિકારીઓને ખદેડ્યા હતા, પછી નેટવર્કની રિસેપ્શન બિલ્ડિંગ અને બહાર પાર્ક કરેલા ડઝનેક વાહનોને આગ ચાંપી દીધી હતી. જેના કારણે રાજધાની ઢાકા આગની લપેટમાં આવી ગઈ હતી. ત્યારે અહીંની સ્થિતિને અનિયંત્રિત થતા જોઇ મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.

હિંસા દરમિયાન બ્રોડકાસ્ટર ફેસબુક પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે આગ ફેલાઈ જતાં ઘણા લોકો અંદર ફસાયા હતા, પરંતુ સ્ટેશનના એક અધિકારીએ પછીથી એએફપીને જણાવ્યું કે તેઓએ બિલ્ડિંગને સુરક્ષિત રીતે ખાલી કરી દીધી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, “આગ હજુ પણ ચાલુ છે. અમે મુખ્ય પ્રવેશદ્વારની બહાર આવ્યા છીએ. અમારું ટ્રાન્સમિશન હાલ પૂરતું બંધ કરી દેવામાં આવ્યું છે.” દરમિયાન પીએમ હસીનાની સરકારે શાળાઓ અને યુનિવર્સિટીઓને અનિશ્ચિત સમય માટે બંધ કરવાનો આદેશ આપ્યો હતો, કારણ કે પોલીસે દેશની બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને નિયંત્રણમાં લાવવાના પ્રયાસો ઝડપી કર્યા છે.

પીએમ હસીનાએ પ્રદર્શનકારીઓની હત્યાની નિંદા કરી
વડા પ્રધાન હસીનાએ બુધવારે રાત્રે વિરોધીઓની “હત્યા”ની નિંદા કરી અને પ્રતિજ્ઞા લીધી હતી કે હિંસા માટે જવાબદાર ઇસમોને તેમના રાજકીય જોડાણને ધ્યાનમાં લીધા વિના સજા કરવામાં આવશે. પરંતુ ફરીથી તેમની અપીલ છતાં શેરીઓમાં હિંસા વધુ વણસી કારણ કે પરંતુ પોલીસ તંત્રએ રબર બુલેટ અને ટીયર ગેસ વડે પ્રદર્શનકારીઓને ખતમ કરવાનો પ્રયાસ કર્યો. ત્યારે ગુરુવારે ઓછામાં ઓછા 25 લોકો માર્યા ગયા હતા, તેમજ અઠવાડિયાની શરૂઆતમાં પણ સાતના મોત થયા હતા. જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા હતા.

મોટાભાગના લોકો પોલીસના હથિયારોને કારણે મૃત્યુ પામ્યા હતા
એએફપીને મળેલા હોસ્પિટલના આંકડાઓ મુજબ ઓછામાં ઓછા બે તૃતીયાંશ લોકોના મોત પોલીસ હથિયારોને કારણે થયા હતા. ત્યારે રાજધાની ઢાકાની ઉત્તરા ક્રેસન્ટ હોસ્પિટલના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “અમને અહીં સાત લોકોના મૃતદેહો મળ્યા છે. પ્રથમ બે વિદ્યાર્થીઓ રબરની ગોળીઓથી ઘાયલ થયા હતા. જ્યારે અન્ય પાંચને બંદૂકની ગોળી વાગી હતી. પોલીસ સાથેની અથડામણ દરમિયાન ઘાયલ થયેલા લગભગ 1,000 અન્ય લોકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી, જેમાંથી ઘણાને રબરની ગોળીઓ વાગી હતી.”

Most Popular

To Top