ભારત માટે વધુ એક રાહતભર્યા સમાચાર આવ્યા છે. વેસલ હોર્મુઝ સ્ટ્રેટથી 42 બજાર ટન એલપીજી લઈ ‘જગ વસંત’ નામનું જહાજ ગુજરાતના Kandla Port પર સુરક્ષિત રીતે પહોંચી ગયું છે. આ જહાજ આવતા તોળાતા ભય અને લોકો વચ્ચે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે રાહત મળી છે. આ જહાજમાં 42,000 મેટ્રિક ટનથી વધુ LPG ગેસ ભરેલો છે, જે દેશમાં ગેસ સપ્લાયને મજબૂત બનાવશે. મહત્વની વાત એ છે કે આ જહાજ યુદ્ધગ્રસ્ત અને જોખમી હોર્મુઝ માર્ગ પરથી પસાર થઈને આવ્યું છે, જ્યાંથી ઊર્જા પુરવઠા અંગે અનિશ્ચિતતા સર્જાઈ હતી. એવા સમયમાં આ જથ્થો ભારત માટે મોટી રાહત માનવામાં આવી રહ્યો છે. કંડલા પોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, ગેસને ‘મિડ-સી ટ્રાન્સફર’ પદ્ધતિથી ઉતારવામાં આવશે, જેમાં સમુદ્રમાં જ એક જહાજમાંથી બીજા માધ્યમમાં ગેસ ટ્રાન્સફર કરવામાં આવે છે, જેથી સમય બચી શકે અને પ્રક્રિયા ઝડપી બને.
આ સમગ્ર પ્રક્રિયામાં ઈરાનની ભૂમિકા પણ મહત્વપૂર્ણ રહી છે. ઈરાનના વિદેશ મંત્રી Abbas Araghchiએ ભારત સહિતના મિત્ર દેશોના જહાજોને હોર્મુઝ માર્ગથી પસાર થવાની મંજૂરી આપી હતી, જેના કારણે આ સપ્લાય શક્ય બની છે. ભારત માટે હોર્મુઝ માર્ગ ખૂબ જ મહત્વનો છે, કારણ કે મિડલ ઇસ્ટમાંથી દરરોજ મોટી માત્રામાં ક્રૂડ ઓઈલ અને LPG આ માર્ગે દેશમાં આવે છે. અંદાજે 2.5 થી 2.7 મિલિયન બેરલ ઊર્જા ઉત્પાદનોનો પુરવઠો આ જ રૂટ પરથી થાય છે. તેથી આ માર્ગ ખુલ્લો રહેવું ભારતની ઊર્જા સુરક્ષા અને અર્થવ્યવસ્થા માટે અત્યંત જરૂરી માનવામાં આવે છે. એકંદરે, જોખમ વચ્ચે સફળતાપૂર્વક પહોંચેલા આ ગેસ જથ્થાને કારણે દેશમાં LPGની અછત અંગેની ચિંતા ઓછી થઈ છે અને સપ્લાય ચેઇનને મોટો આધાર મળ્યો છે.