National

38 દેશો સાથે પોતાની શરતો પર વેપાર કરાર: રાજકીય સ્થિરતાથી વધ્યો રોકાણકારોનો વિશ્વાસ: પીએમ મોદી

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આપેલા એક વિશેષ ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે ભારત આજે આર્થિક શક્તિ અને રાજકીય સ્થિરતાના કારણે પોતાની શરતો પર વિશ્વ સાથે વેપાર કરારો કરવા સક્ષમ બન્યું છે. તેમના અનુસાર, હાલ ભારત 38 દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) અંગે ચર્ચા અથવા પ્રક્રિયામાં જોડાયેલું છે, જે દેશના ઉદ્યોગો માટે નવા અવસર ઊભા કરશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે અગાઉની સરકારોના સમયમાં માત્ર વાતચીત શરૂ થતી હતી, પરંતુ ચોક્કસ પરિણામ મળતા નહોતા. હવે મજબૂત નીતિઓ અને સ્થિર શાસનને કારણે વિદેશી રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતનું ઉત્પાદન ક્ષેત્ર, સેવા ક્ષેત્ર અને ખાસ કરીને MSME સેક્ટર મજબૂત બનતા દેશ વૈશ્વિક સ્તરે વધુ આત્મવિશ્વાસથી આગળ વધી રહ્યો છે.

FTA અંગે તેમણે સમજાવ્યું કે આ કરારો ખાસ કરીને ટેક્સટાઇલ, ચામડું, રસાયણ, હસ્તકળા, ઘરેણાં અને નાના-મધ્યમ ઉદ્યોગોને લાભ આપવા માટે રચાયા છે. આથી ભારતીય ઉત્પાદનોને નવા આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રવેશ મળશે અને નિકાસમાં વધારો થશે. તેમણે જણાવ્યું કે તાજેતરના વર્ષોમાં ભારતે નિકાસના અગાઉના તમામ રેકોર્ડ તોડ્યા છે, જે દેશની વધતી આર્થિક શક્તિ દર્શાવે છે. આ વર્ષે રજૂ કરાયેલ કેન્દ્રિય બજેટ અંગે વાત કરતાં પીએમ મોદીએ કહ્યું કે આ માત્ર આંકડાઓનો દસ્તાવેજ નથી, પરંતુ વિકસિત ભારત તરફ આગળ વધવાનો સ્પષ્ટ રોડમેપ છે. તેમના અનુસાર, આ બજેટ સુધારાઓની ગતિ વધારશે અને યુવાનોને બદલાતી વૈશ્વિક પરિસ્થિતિ માટે તૈયાર કરશે. આર્થિક સર્વે અનુસાર, રોકાણ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂકવાથી દેશની સંભવિત વૃદ્ધિ દર 7 ટકા સુધી પહોંચી શકે છે.

સંરક્ષણ ક્ષેત્ર અંગે પણ પ્રધાનમંત્રીએ સ્પષ્ટ કર્યું કે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડિફેન્સ ક્ષેત્રનું આધુનિકીકરણ કરવું સરકારની જવાબદારી છે. સંરક્ષણ બજેટમાં થયેલા વધારાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે ભારતને દરેક પરિસ્થિતિ માટે તૈયાર અને મજબૂત રહેવું જરૂરી છે. સરકાર પોતાના સૈનિકોના કલ્યાણ પ્રત્યે સંવેદનશીલ છે અને જરૂરી તમામ પગલાં લેતી રહેશે. સુધારાઓ અંગે તેમણે જણાવ્યું કે રિફોર્મ એનડીએ સરકારની પ્રતિબદ્ધતા છે. આગામી આર્થિક તબક્કામાં ખાનગી ક્ષેત્રની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. તેમણે ખાનગી ઉદ્યોગોને માત્ર નફા પર ધ્યાન કેન્દ્રિત કરવા બદલે સંશોધન-વિકાસ (R&D), સપ્લાય ચેન અને ગુણવત્તામાં વધુ રોકાણ કરવા અપીલ કરી. પ્રોડક્ટિવિટી વધે ત્યારે તેના લાભ કામદારો સાથે પણ યોગ્ય રીતે વહેંચવા જોઈએ તેમ તેમણે ઉમેર્યું. આ રીતે, પ્રધાનમંત્રીના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે સરકાર લાંબા ગાળાના વિકાસ, વૈશ્વિક સ્પર્ધાત્મકતા અને મજબૂત અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આગળ વધી રહી છે.

Most Popular

To Top