National

લોકસભામાં શપથ દમિયાન સૂત્રોચ્ચાર થશે નહીં! સ્પીકર ઓમ બિરલાએ નિયમોમાં મોટા ફેરફારો કર્યા

નવી દિલ્હી: તાજેતરમાં લોકસભામાં (Lok Sabha) શપથ લેતી વખતે નવા ચૂંટાયેલા સાંસદોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારે આ દરમિયાન થયેલા વિવાદને ધ્યાનમાં રાખીને સ્પીકર ઓમ બિરલાએ (Om Birla) મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ તેમણે નિયમમાં સુધારો કર્યો હતો અને ચૂંટાયેલા સાંસદોને ગૃહના સભ્યો તરીકે શપથ લેતી વખતે કોઈપણ ટિપ્પણી કે સૂત્રોચ્ચાર ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

અસલમાં 18મી લોકસભાના પ્રથમ સત્ર દરમિયાન AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ સંસદ સભ્ય તરીકે શપથ લીધા બાદ ગૃહમાં ‘જય ભીમ, જય મીમ, જય તેલંગાણા’ અને અંતે ‘જય પેલેસ્ટાઈન’ના નારા લગાવીને મોટો વિવાદ સર્જ્યો હતો. ત્યારે ઓવૈસી ઉપરાંત અન્ય ઘણા સાંસદો પણ સંસદ સભ્યપદના શપથ લેતા પહેલા કે પછી ગૃહમાં સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. જેને લઈને વિવાદ વધ્યા બાદ હવે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સાંસદોની શપથવિધિને લઈને નિયમોમાં ફેરફાર કરીને આ નિતમોને વધુ કડક બનાવ્યા છે.

ફોર્મેટ મુજબ શપથ લેવામાં આવશે
નવા નિયમ મુજબ હવે ભવિષ્યમાં શપથ લેનારા ચૂંટાયેલા સાંસદોએ બંધારણ હેઠળના શપથના ફોર્મેટ મુજબ શપથ લેવાના રહેશે. હવે સાંસદો શપથ લેતી વખતે ન તો સૂત્રોચ્ચાર કરી શકશે અને ન તો તેમના શપથમાં અન્ય કોઈ શબ્દ ઉમેરી શકશે. લોકસભાના સ્પીકરના નિર્દેશો અનુસાર, લોકસભામાં કાર્યપ્રણાલી અને કામકાજના નિયમોના નિયમ 389 (17મી આવૃત્તિ)માં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે નિયમ 389ની સૂચના-1માં ક્લોઝ-2 પછી નવો ક્લોઝ-3 ઉમેરવામાં આવ્યો છે. આ મુજબ, સભ્ય ભારતના બંધારણની ત્રીજી અનુસૂચિમાં હેતુ માટે નિર્ધારિત ફોર્મમાં જ શપથ લેશે અને સબ્સ્ક્રાઇબ કરશે. કોઈ પણ વ્યક્તિ શપથના ઉપસર્ગ અથવા પ્રત્યય તરીકે શબ્દ અથવા અન્ય કોઈ શબ્દ કે અભિવ્યક્તિનો ઉપયોગ કરશે નહીં.

સાંસદોના સૂત્રોચ્ચારને લઈને હોબાળો
18મી લોકસભાના પહેલા સત્રના બીજા દિવસે અસદુદ્દીન ઓવૈસીએ ‘જય પેલેસ્ટાઈન’ના નારા લગાવ્યા હતા. ત્યારે અન્ય સાંસદોએ આ અંગે વાંધો ઉઠાવ્યો હતો. આ સાથે જ રાહુલ ગાંધીએ શપથ બાદ ‘જય હિંદ’ અને ‘જય સંવિધાન’ના નારા લગાવ્યા હતા. આ સિવાય બરેલીના બીજેપી સાંસદ છત્રપાલ ગંગવારે ‘હિંદુ રાષ્ટ્ર કી જય’ ના નારા લગાવ્યા હતા. જ્યારે સપા સાંસદ અવધેશ રાયે શપથ લીધા ત્યારે ‘જય અયોધ્યા’, ‘જય અવધેશ’ના નારા લાગ્યા હતા. હેમા માલિનીએ શપથ ગ્રહણ સમારોહની શરૂઆત ‘રાધે-રાધે’થી કરી હતી. ત્યારે આ સૂત્રોના સંદર્ભમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સાંસદો શપથ ગ્રહણ દ્વારા તેમના રાજકીય સંદેશાઓ મોકલી રહ્યા છે. જેથી સ્પીકર ઓમ બીરલાએ સાંસદમાં આ પ્રકારના કોઇ પણ સૂત્રોચ્ચાર પર રોક લગાવી હતી.

Most Popular

To Top