National

બદ્રીનાથ ધામના મુખ્ય પુજારીએ કેમ આપ્યું રાજીનામું?, હવે કોણ સંભાળશે સેવાની કમાન, જાણો!

નવી દિલ્હી: શ્રી બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિ સમક્ષ બદ્રીનાથ ધામના (Badrinath Dham) મુખ્ય પુજારીએ રાજીનામું આપ્યું હતું. ત્યારે આજે શુક્રવારે બદ્રીનાથ ધામના મુખ્ય પૂજારી (Chief Priest) રાવલ ઇશ્વર પ્રસાદનું રાજીનામું (Resignation) સ્વીકારવામાં આવ્યું હતું. ત્યારે ઇશ્વરી પ્રસાદે આ રાજીનામું સ્વૈચ્છિક રીતે આપ્યું હોવાનું પણ સામે આવ્યું છે.

મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજયના જણાવ્યા મુજબ સ્વૈચ્છિક નિવૃત્તિ માટેની ઇશ્વર પ્રસાદની અરજીને શુક્રવારે મંજૂર કરવામાં આવી હતી. તેમજ આ રાજીનામા બાદ બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિએ નાયબ રાવલ અમરનાથ નંબૂદિરીને ધામના નવા રાવલ તરીકે નિયુક્ત કર્યા હતા. તેમજ કાર્યવાહી બાદ હવે BKTC બદ્રીનાથ ધામમાં નવા રાવલ તિલપાત્રની તૈયારીઓમાં વ્યસ્ત છે જે 13 અને 14 જુલાઈના રોજ પૂર્ણ થશે. તેમજ તિલપાત્રની પ્રક્રિયા દરમિયાન વર્તમાન રાવલ નવા રાવલને પઠન સાથે ગુરુ મંત્ર આપશે. ગુરુમંત્ર પ્રાપ્ત કર્યા પછી નવા રાવલ 14 જુલાઈના રોજ શયન સમયની પૂજા માટે લાકડી સાથે મંદિરમાં પ્રવેશ કરશે.

મુખ્ય પૂજારીએ કેમ રાજીનામું આપ્યું?
પ્રાપ્ત વિગતો મુજબ આઉટગોઇંગ રાવલ ઇશ્વર પ્રસાદે સ્વાસ્થ્યના કારણોસર સ્વૈચ્છિક નિવૃત્તિ માટે અરજી કરી હતી. ત્યારે તેમના રાજીનામા બાદ રવિવારથી બદ્રીનાથ ધામમાં નવા રાવલ દ્વારા ભગવાન બદ્રી વિશાલની પૂજા કરવામાં આવશે. સમગ્ર મામલે મંદિર સમિતિ દ્વારા બહાર પાડવામાં આવેલ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, નાયબ રાવલને પ્રભારી તરીકે પૂજાની જવાબદારી સોંપવા માટે, 13 અને 14 જુલાઈના બે દિવસ માટે વિવિધ ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવશે. તેમજ ધાર્મિક પરંપરાઓ અને માન્યતાઓ આધારે ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ રાવલ અમરનાથ નંબૂદીરી 14 જુલાઈથી પ્રભારી તરીકે પૂજા કરશે.

નવા રાવલે આ વિધિઓ પૂર્ણ કરવાની રહેશે
બદ્રીનાથ ધામના ધાર્મિક નેતા રાધાકૃષ્ણ થાપલિયાલે જણાવ્યું હતું કે અમરનાથ નંબૂદીરીને પૂજાની જવાબદારી આપતા પહેલા વિવિધ ધાર્મિક વિધિઓ પૂર્ણ કરવામાં આવશે. જે 13મી જુલાઈના રોજ મુંડન બાદ હવન અને શુદ્ધિકરણની સાથે પ્રભારી રાવલને અભિષેક કરવામાં આવશે.

સમગ્ર મામલે થપલિયાલના જણાવ્યા અનુસાર, બીજા દિવસે એટલે કે 14મી જુલાઈના રોજ નાયબ રાવલ બદ્રીનાથ સ્થિત પાંચ નદીઓના પાણીમાં સ્નાન કરશે અને પાંચ શિલાઓ – નારદ શિલા, નરસિંહ શિલા, વરાહ શિલા, ગરુડ શિલા અને માર્કંડેય શિલાની મુલાકાત લેશે. આ પછી, આઉટગોઇંગ રાવલ પાસેથી ગુરુ મંત્ર, આશીર્વાદ અને લાકડી લઈને તેઓ નવા રાવલ તરીકે પ્રથમ વખત મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરશે.

Most Popular

To Top