આખબારોના મથાળાં હોય કે, ટેલિવીઝન સ્ક્રીન હોય કે સેલફોનની સ્ક્રીન્સ એર સ્ટ્રાઇક્સ, ડ્રોન વૉરફેર અને રાષ્ટ્રવાદી ભાવના જગાડતા વાક્યો આપણી સવાર, સાંજ અને રાતનો હિસ્સો બની ગયા છે. લોકોમાં ડર છે તો એક અલગ પ્રકારનો જુસ્સો પણ છે. ભારત અને પાકિસ્તાન યુદ્ધે ચઢ્યાં છે? 22મી એપ્રિલે પહલગામમાં થયેલા દર્દનાક હુમલામાં 26 જણાના જીવ ગયા, ભારતે ઑપરેશન સિંદૂર લૉન્ચ કર્યું અને પાકિસ્તાન અને પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં રહેલી આતંકી છાવણીઓનો ખુરદો બોલાવી દીધો. પહલગામમાં થયેલો આતંકી હુમલો, ઑપરેશન સિંદૂર અને પછી જે સિલસિલો શરૂ થયો છે તે જોતાં તો એમ જ લાગે છે કે આપણે યુદ્ધના ઉંબરે ઉભાં છીએ અને આપણો એક પગ ઉંબરાની બહાર છે. પાકિસ્તાને ઑપરેશન સિંદૂરનો વળતો પ્રહાર લશ્કરી રાહે કર્યો જેને કેટલાંક લોકો 2019ના બાલાકોટ અથવા 1999ના કારગીલ પછીનો સૌથી મોટો હુમલો ગણાવી રહ્યા છે. આ માત્ર બોમ્બિંગ, મિસાઇલો, ડ્રોન અટેક કે સરહદોના તણાવ પુરતી વાત નથી. રાજકીય મજબૂરી, રાજદ્વારી દાવપેચ અને તે બધાં કરતાંય ઘણા મોટા પાયે 21મી સદીમાં ચાલી રહેલા કથાનકના યુદ્ધની એટલે કે નેરેટિવ વૉરફેરની વાત પણ છે. પહલગામમાં ધર્મને નામે આતંકવાદ ફેલાયો. આતંકવાદીઓને ધર્મ નથી હોતો એવું કહેતા હવે ખચકાટ થાય કારણકે ધર્મ પૂછીને આતંક ફેલાવાયો. ભારતીય સરકારે પાકિસ્તાનના આતંકી જૂથો, ખાસ કરીને લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમંદની સંડોવણી હોવાની વાત કરી અને ગણતરીના દિવસોમાં જે થયું તેમાં આ વખતે કોઈ પ્રેસ કોન્ફરન્સ નહોતી પણ એર સ્ટ્રાઇક્સ હતી.
ઑપરેશન સિંદૂરઃ સૂકા ઘાસમાં તણખો
ઑપરેશન સિંદૂર લૉન્ચ કરાયું અને આતંકીઓને તાલીમ આપતી નવ છાવણીઓ પર ભારતીય સેનાએ જે રીતે હુમલો કર્યો તે ત્વરીત, વ્યૂહાત્મક અને ચોક્કસ લક્ષ્ય સાથે કરાયો. ઑપરેશન સિંદૂર સૂકા ઘાસનો તણખો સાબિત થયો. આતંકીઓને ટાર્ગેટ કર્યા હોવા છતાં પાકિસ્તાને તેને યુદ્ધનું પગલું ગણાવીને ડ્રોન અને હવાઈ હુમલાઓથી બદલો લીધો. આ સાથે ઇન્ફોર્મેશન વૉર પણ શરૂ થયું જેમ કે પાકિસ્તાને દાવો કર્યો કે તેમણે ભારતના પાંચ ફાઇટર જેટ, ત્રણ રાફેલ, એક મિગ-29 અને એક સુ-30 સહિત કેટલા ડ્રોન્સનો ખાત્મો બોલાવ્યો. જોકે ભારતે આવા કોઈ નુકસાનની પુષ્ટિ નથી કરી અને પાકિસ્તાનના દાવા પોકળ છે, અને પાકિસ્તાન ખોટી માહિતી ફેલાવે છે તેમ કહ્યું છે. સવાલ એ છે કે ભારત અને પાકિસ્તાનના વૈમનસ્યનું ભૂત વર્ષોથી ધૂણે છે. શું આ બન્ને દેશો વચ્ચે ભડકેલા તણાવનું પરિણામ આપણને ધસમસતા પ્રવાહમાં યુદ્ધ તરફ લઈ જઈ રહ્યું છે કે પછી યુદ્ધ શરૂ થઈ જ ગયું છે?
મર્યાદિત યુદ્ધ?
આ જે થઇ રહ્યું છે તે શું છે? મર્યાદિત સમય માટે ચાલે એવું યુદ્ધ? આ લખાઈ રહ્યું છે ત્યારે હજી સુધી તો બેમાંથી એક પણ દેશે ઔપચારિક રીતે યુદ્ધની જાહેરાત નથી કરી પણ જે ઘટનાઓ ઘટી રહી છે અને જે કંઈ સેનાનું જોર બતાડતી કવાયત માત્ર પણ નથી લાગતી. વિશ્લેષકોને મતે આ તબક્કો ‘મર્યાદિત યુદ્ધ’નો છે. એવો સંઘર્ષ જેની પર ભૂગોળ, રાજકીય ઉદ્દશ અને ન્યુક્લિયર ઓવરહેંગની મર્યાદાઓ તો છે પણ સાથે બધા જ પ્રકારના પ્રસાર માધ્યમોથી પ્રેરિત રાષ્ટ્રવાદનો ગરમાટો પણ છે. હજી સુધી તો યુદ્ધનો પડકાર નથી કરાયો (આ લખાઇ રહ્યું છે ત્યારે). મિસાઇલ વૉરફેર કે ભૂમિગત હુમલાને ટાળવાનો પ્રયાસ ચાલુ છે. લશ્કરી વ્યૂહરચનાને સમજનારાઓનું માનવું છે કે આવો સંઘર્ષ ત્યાં સુધી ચાલે જ્યાં સુધી આર્થિક રીતે હાંફ ચઢવા માંડે અથવા તો રાજદ્વારી દબાણ આવવા માંડે. બે અઠવાડિયા સુધી આવો સંઘર્ષ ખેંચાય. જોકે રાજકારણને જ્યોતિષની દ્રષ્ટિએ જાણકારોના મતે આ સ્થિતિ સપ્ટેમ્બર-ઑક્ટોબર સુધી ચાલી શકે છે અને નુકસાન બંને દેશોને થશે પણ ભારતને વધુ સફળતા મળશે. જુઓ જ્યોતિષને ટાંકવા પણ જરૂરી છે કારણકે સંજોગોને ગણીએ ત્યારે એકે ય પાસાને એળે જવા દેવામાં મજા ન આવે.
પાકિસ્તાનને યુદ્ધ કરવું પાલવે એમ છે?
આમ તો સીધી રીતે જ લશ્કરી તાકાતની દ્રષ્ટિએ કે વૈશ્વિક નેરેટિવમાં પણ ભારતનો હાથ ઉપર છે પણ પાકિસ્તાની વ્યૂહ રચના પહેલેથી જ તણાવને લંબાવવાની અને વૈશ્વિક સહાનુભૂતિ મેળવવાની રહી છે. એક મોટો સવાલ એ પણ છે કે પાકિસ્તાન ખરેખર યુદ્ધ લડી શકે એવી સ્થિતમાં છે ખરો? ત્યાંની અર્થવ્યવસ્થા તો વેન્ટિલેટર પર છે. પાકિસ્તાન પર બહારનું દેવું 131 મિલિયન ડૉલર્સને વટાવી ગયું છે અને વિદેશી હૂંડિયામણના ભંડોળમાં માત્ર ત્રણ મહિનાની આયાત કરી શકાય એટલી જ રકમ છે. વિશેષજ્ઞોના મતે પાકિસ્તાન પાસે માત્ર ચારથી છ દિવસ ચાલે એટલો જ હાઇ ઇન્ટેન્સિટી લશ્કરી દારુગોળો છે. અત્યારે પણ પાકિસ્તાને કટોકટીના ભંડોળ માટે સાઉદી અરેબિયા, ચીન અને UAE જેવા કાયમી સાથીઓ પાસે મદદ માગી છે પણ ત્યાંથી તેમને પ્રતિભાવમાં મૌન જ મળ્યું છે. આ દેશો આવું કરે તેના કારણો પણ સ્પષ્ટ છે. આ દેશોએ પોતાના હિતોને ગણતરીમાં લીધા છે. ભારત ગલ્ફ અને ASEAN દેશો માટે એક અગત્યનો વ્યાપારી ભાગીદાર છે. તેલના ભંડારો પર આધારિત તેમના વ્યાપાર ઉપરાંતના તેમના વિઝન અને વૈશ્વિક સ્તરે આગળ ધપવું હશે તો તેમને પાકિસ્તાન સાથેનું નૈકટ્ય અને ભારત સાથેનું અંતર પોસાય તેમ નથી. ઓર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કોઓપરેશન જે મોટેભાગે ગર્જના કરીને પાકિસ્તાનને ટેકો આપે છે તેની તરફથી પણ પાકિસ્તાનને સંયમ રાખવાની જરા અમથી ટકોર કરી છે. રાજકીય રીતે પાકિસ્તાન અસ્તવ્યસ્ત છે. ખાદ્ય પદાર્થોના વધતા ભાવ, વીજળીની અછત, IMF દ્વારા કડક શરતોનું અમલીકરણ પણ ચાલે છે. રાજકીય આર્થિક નિરીક્ષકોનું માનવું છે કે આ તણાવભર્યા દાવપેચોનો હેતુ આંતરિક વિભાજનને ઘટાડી, નિષ્ફળતાઓથી લોકોનું ધ્યાન દૂર કરી, કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય દબાણ કરવવાનો પણ હોઈ જ શકે છે.
ભારતનો હાથ કેમ ઉપર?
ભારતની સ્થિતિની વાત કરીએ તો સ્વાભાવિક છે આપણે પાકિસ્તાન કરતાં આગળ અને બહેતર છીએ, મજબૂત છીએ. લશ્કરી સ્તરે સંસાધન-શસ્ત્રના મામલે અને વિદેશી નીતિઓની સજજ્તાએ આપણને સરહદી ટકરાવ માટે તૈયાર રાખ્યા છે. રાફેલ જેટ્સ હોય કે તૈનાત સૈના હોય, ભારતનું રક્ષાતંત્ર સાબદું છે. જોકે આ વખતે ભારતે ઑપરેશન સિંદૂર દ્વારા એ સાબિત કર્યું કે અત્યાર સુધી આતંકી હુમલાઓ પછી ભારતે આકરી પ્રતિક્રિયાઓ નહોતી આપી પણ હવે ભારત એવું નહીં કરે. લશ્કરી અધિકારી અને વિદેશ સચિવે કરેલી પહેલી પ્રેસ કોન્ફરન્સમાં પણ છેલ્લાં શબ્દો ‘નો મોર’ જ હતાં. ભારતે આતંકી હુમલાઓ પ્રત્યેની પોતાની પ્રતિક્રિયા આપવાની વ્યૂહ રચના બદલી હોવાનો એ પુરાવો છે. પહલગામની દુર્ઘટના પછી ઉગ્ર જનાક્રોશ અને આવનારી ચૂંટણીઓના ઓછાયા વચ્ચે સરકાર પાસે જવાબ આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ હતો જ નહીં. આ રાજકીય મક્કમતાને પગલે ભારત એક એવી સ્થિતિમાં છે જ્યાંથી પાછી પાની કરવી હવે શક્ય નથી. સોશ્યલ મીડિયા પર બદલાના હેશટૅગ્ઝ અને રાષ્ટ્રભક્તિથી ભરપૂર ચેનલ કવરેજ આપણા દિવસનો હિસ્સો બની ગયા છે. હુમલો કર્યા પછી કે જવાબ વાળ્યા પછી અટકી જઇને ડિ-એસ્કેલેટ કરવાની રાજકીય કિંમત આટલી ઊંચી આ પહેલાં ક્યારેય નથી રહી.
અમેરિકા કે દુનિયાને આ સંઘર્ષમાં રસ નથી?
આ સાથે વૈશ્વિક સ્તરે પણ સંજોગો જોવા જરૂરી છે. આખા સંઘર્ષમાં આંખે ઉડીને વળગે તેવી બાબત છે અમેરિકાનું પોતાને આખી વાતમાંથી બહાર રાખવું. USAના વાઇસ પ્રેસિડન્ટ જે. ડી. વૅન્સે તો કહી દીધું, “આ અમારો મામલો નથી, અમે આ દેશોને રોકી શકીએ તેમ નથી.” આ પહેલાં જ્યારે પણ સાઉથ એશિયામાં તણાવ વધતો ત્યારે અમેરિકાએ મધ્યસ્થી બનીને ધીરજ અને શાંતિ સ્થાપવાનું કામ કર્યું છે. હવે અમેરિકા પોતાના આંતરિક પ્રશ્નો, ચીન અને યુક્રેન પર ધ્યાન આપે છે. ભારત અને પાકિસ્તાન બાખડે અને પોતે તેનો ઉકેલ આપે એ બધું કરવામાં અત્યારે USAને રસ નથી. યુરોપે તો માત્ર રૂઢિગત રીતે ચિંતા દર્શાવીને નોંધ લીધી છે. ચીને જવાબદારી પૂર્વકના વહેવારની આશા રાખી છે જો કે છાને ખૂણે તો તે આ સંઘર્ષને પોતાને ભારત સાથે સરહદ પર જે તણાવ છે તેને ધ્યાનમાં રાખીને નિહાળી રહ્યો છે. રશિયા જે યુક્રેનમાં ગુંચવાયો છે તેણે સાવ અતડા રહેવાનું નક્કી કર્યું છે. વિશ્વ આખું જે થાય તેની પર મુંગા મોઢે નજર રાખી રહ્યું છે.
ઇન્ફર્મેશન વૉરઃ એક સમાંતર યુદ્ધ!
વળી એક વસ્તુ આપણે સ્વીકારવી રહી કે આ યુદ્ધ માત્ર શસ્ત્રો નહીં પણ બાઇટ્સથી પણ લડાઈ રહ્યું છે. ભારત અને પાકિસ્તાનની ડિજિટલ તાકાત કામે લાગી છે. ડીપફેક વીડિયો, AI-આધારિત સેટેલાઇટ ઇમેજિઝ, જૂના ફૂટેજને લાઈવ હુમલો કરીને બતાડવાના પ્રચાર-પ્રસાર ચાલી જ રહ્યાં છે. ફેક્ટ ચેકિંગ પર આપણી તરફથી કામ થઈ તો રહ્યું છે પણ સોશ્યલ મીડિયાની ભીડને હળવાશથી ન લેવાય. ભારતના માઇક્રો અને મેક્રો મીડિયાને માટે વિશ્વવ્યાપી વિશ્વાસ મેળવવો અઘરો નથી. જોકે પાકિસ્તાન પણ ઇન્ટેલિજન્સ આધારિત ડિજિટલ મશિનરી ચલા તો રહ્યો છે. ખોટા એકાઉન્ટ્સ, ટેલિગ્રામ ગ્રૂપ્સ અને વિદેશી ડાયસ્પોરાના માધ્યમથી પાકિસ્તાન દુનિયાનું ધ્યાન પોતાની તરફ જાય તેનો પ્રયાસ કર્યા કરે છે. આ યુદ્ધ ગ્લોબલ નેરેટિવનું, દૃષ્ટિકોણ રચવાનું યુધ્ધ પણ છે. વૈશ્વિક સ્તરે તમારા પ્રત્યે અન્ય રાષ્ટ્રો શું અનુભવે છે તેના પર પણ તમારી હાર કે જીતનો આધાર રહેલો છે.