કોવિડ-19 વેક્સિનની આડઅસરોને કારણે થયેલા કથિત મૃત્યુ સંબંધિત અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટએ રસીકરણ પછી થતી આડઅસરોની તપાસ માટે નવી નિષ્ણાત પેનલ બનાવવાનો ઇનકાર કર્યો છે, પરંતુ કેન્દ્ર સરકારને ગંભીર પ્રતિકૂળ અસરનો સામનો કરનારા લોકોને વળતર આપવા માટે ખાસ નીતિ તૈયાર કરવાની સૂચના આપી છે. સાથે જ રસીકરણ પછી નોંધાતી આડઅસરો અંગેનો ડેટા સમયાંતરે જાહેર કરવા પણ કહ્યું છે. મંગળવારે જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. અરજીમાં કોવિડ-19 રસી લીધા પછી કથિત આડઅસરોને કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારોને વળતર આપવાની માંગ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ અરજીઓનો નિકાલ કરતાં જણાવ્યું કે રસીકરણ પછીની આડઅસરો પર નજર રાખવા માટે હાલ જે સિસ્ટમ કાર્યરત છે, તે ચાલુ રહેશે.
કોર્ટે કહ્યું કે વર્તમાન વ્યવસ્થાને ધ્યાનમાં રાખતા રસીકરણ પછીની આડઅસરોની તપાસ માટે અલગ સમિતિ બનાવવાની જરૂર નથી. જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ નિર્ણયનો અર્થ એવો નથી કે કોઈ વ્યક્તિ કાનૂની માર્ગ અપનાવી શકતો નથી. કોઈપણ વ્યક્તિ પોતાની ફરિયાદ માટે કોર્ટનો આશરો લઈ શકે છે. સુપ્રીમ કોર્ટે એ પણ જણાવ્યું કે વળતર નીતિ બનાવવાનો અર્થ એવો નહીં થાય કે ભારત સરકાર અથવા અન્ય કોઈ સત્તાવાળાએ પોતાની ભૂલ કે કાનૂની જવાબદારી સ્વીકારી લીધી છે. આ અરજી બે છોકરીઓના માતાપિતાએ દાખલ કરી હતી. તેઓએ દાવો કર્યો હતો કે તેમની દીકરીઓનું મૃત્યુ કોવિડ વેક્સિનની આડઅસરને કારણે થયું હતું. અરજીમાં સ્વતંત્ર સમિતિ દ્વારા મૃત્યુની તપાસ, શબપરીક્ષણ અને તપાસ અહેવાલો જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. સાથે જ મૃતકોના પરિવારને નાણાકીય વળતર આપવા પણ માંગ કરવામાં આવી હતી.
એક કેસમાં વેણુગોપાલ ગોવિંદને દાવો કર્યો હતો કે તેમની પુત્રી કરુણ્યાનું 2021માં કોવિશિલ્ડ વેક્સિન લીધા પછી એક મહિનામાં મૃત્યુ થયું હતું. સરકાર દ્વારા રચાયેલી રાષ્ટ્રીય સમિતિએ તપાસ બાદ જણાવ્યું હતું કે મૃત્યુનું કારણ વેક્સિન હોવાનો પૂરતો પુરાવો મળ્યો નથી. બીજા કેસમાં એક 8 વર્ષની બાળકીના પરિવારે જણાવ્યું હતું કે કોવિશિલ્ડનો પહેલો ડોઝ લીધા પછી થોડા જ દિવસોમાં તાવ અને ઉલટીની ફરિયાદ શરૂ થઈ હતી. બાદમાં તપાસમાં મગજમાં બ્લડ ક્લોટિંગ અને બ્રેઈન હેમરેજ હોવાનું સામે આવ્યું હતું. RTI દ્વારા મળેલી માહિતી મુજબ બાળકીમાં થ્રોમ્બોસિસ વિથ થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ (TTS) જોવા મળ્યો હતો, જેને વેક્સિન સંબંધિત પ્રતિક્રિયા તરીકે દર્શાવવામાં આવ્યું હતું. આ મામલે સુપ્રીમ કોર્ટે સરકારને સ્પષ્ટ વળતર નીતિ બનાવવાની દિશામાં પગલા લેવા કહ્યું છે, જેથી રસીકરણ પછી ગંભીર આડઅસરનો સામનો કરનારા લોકોને યોગ્ય સહાય મળી શકે.