National

સુપ્રીમને પહેલીવાર મણીપુરથી નવા જજ મળ્યા, રાષ્ટ્રપતિ મુર્મુએ આપી મંજુરી

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ (President Draupadi Murmu) આજે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) બે નવા જજોની નિમણૂકને મંજૂરી (Approved) આપી હતી. જે મુજબ જસ્ટિસ એન. કોટીશ્વર સિંહ અને જસ્ટિસ આર મહાદેવનની સુપ્રીમ કોર્ટમાં નવા જજ રહેશે. ત્યારે નિમણૂક બાદ જસ્ટિસ એન. કોટીશ્વર સિંહ મણિપુરમાંથી સુપ્રીમ કોર્ટના જજ બનનાર પ્રથમ વ્યક્તિ હશે.

અસલમાં સુપ્રીમ કોર્ટ કોલેજિયમે કેન્દ્ર સરકારને જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એન કોટીશ્વર સિંહ અને મદ્રાસ હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ આર મહાદેવનને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરી હતી. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડના નેતૃત્વ હેઠળના કોલેજિયમની 11 જુલાઈની ભલામણ ભલામણને ધ્યાનમાં ૨ાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ સાથે જ સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સહિત 34 જજોના પદોને મંજૂરી આપવામાં આવી છે. ત્યારે આ બંને જજોના શપથ ગ્રહણ બાદ અન્ય જજની તમામ જગ્યાઓ ભરવામાં આવશે. આ દરમિયન સુપ્રીમ કોર્ટના કોલેજિયમના અન્ય સભ્યોમાં જસ્ટિસ સંજીવ ખન્ના, બીઆર ગવઈ, સૂર્યકાંત અને હૃષિકેશ રાય હાજર રહેશે. આ સિવાય સુપ્રીમ કોર્ટમાં હાલમાં 32 જજ છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ન્યાયાધીશોની નિમણૂક કરી
કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, “ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને અને માનનીય મુખ્ય ન્યાયાધીશ સાથે ચર્ચા કર્યા બાદ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે બે જજોને નિયુક્ત કર્યા છે.” ” તેમણે પોતાના ટ્વીટ સાથે એક પોસ્ટ શેર કરી હતી, જેમાં જસ્ટિસ એન. કોટીશ્વર સિંહ અને જસ્ટિસ આર મહાદેવનના નામ સામેલ છે. તેમજ આ પોસ્ટમાં પણ એ પણ ઉલ્લેખ છે કે તેઓ હાલમાં કઈ હાઈકોર્ટના જજ છે.

કોણ છે જસ્ટિસ કોટીશ્વર સિંહ?
બાર અને બેંચના રિપોર્ટ અનુસાર જસ્ટિસ કોટીશ્વર સિંહ ફેબ્રુઆરી 2023થી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે. તેઓ મૂળ મણિપુરના છે. જસ્ટિસ કોટીશ્વરનો જન્મ 1 માર્ચ, 1963ના રોજ ઈમ્ફાલમાં થયો હતો. તેમના પિતાનું નામ એન. ઇબોટોમી સિંહ છે, જ્યારે માતાનું નામ એન. ગોમતી દેવી છે. જસ્ટિસ કોટીશ્વરના પિતા ગુવાહાટી હાઈકોર્ટના જજ રહી ચૂક્યા છે.

જસ્ટિસ કોટીશ્વર સિંહે ગુહાટી હાઈકોર્ટમાં ટ્રાન્સફર થયા પહેલા થોડો સમય સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ પણ કરી હતી. તેમજ 2008માં તેમને ગુવાહાટી હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 2011માં જસ્ટિસ કોટીશ્વર સિંહને ગુવાહાટી હાઈકોર્ટના એડિશનલ જજ બનાવવામાં આવ્યા અને 2012માં તેઓ કાયમી જજ બન્યા હતા. 2013 માં મણિપુર હાઈકોર્ટની રચના પછી તેઓ મણિપુર હાઇકોર્ટના જજ તરીકે નિયુક્ત થયા હતા. તેમજ 2018માં તેમને ફરી ગુવાહાટી હાઈકોર્ટમાં મોકલવામાં આવ્યા હતા. આ પછી તેઓ 2023 માં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા.

કોણ છે જસ્ટિસ મહાદેવન?
જસ્ટિસ મહાદેવન મે 2024થી મદ્રાસ હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ છે. તેમણે મદ્રાસ લો કોલેજમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી. તેમજ તેમણે 1989માં વકીલ તરીકે હાઈકોર્ટમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમની પાસે 25 વર્ષનો અનુભવ છે. તેમણે તમિલનાડુ સરકાર માટે વધારાના સરકારી સલાહકાર (ટેક્સ) તરીકે અને મદ્રાસ હાઈકોર્ટમાં ભારત સરકાર માટે ‘વધારાની કેન્દ્ર સરકાર’ માટે સ્થાયી સલાહકાર અને વરિષ્ઠ પેનલ કાઉન્સેલ તરીકે કામ કર્યું છે. ત્યારે તેમને 2013માં હાઈકોર્ટમાં જજ તરીકે બઢતી આપવામાં આવી હતી.

Most Popular

To Top