ગાંધીનગર : આવતીકાલથી આગામી પાંચ દિવસ દરમિયાન જૂનાગઢ ખાતે યોજાનાર ભવનાથ મહાશિવરાત્રી મેળાને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એસ.ટી.) દ્વારા આ વર્ષે અંદાજે ૧૯૫ વધારાની બસો દ્વારા ૭૮૦૦થી વધુ ટ્રિપ્સનું સંચાલન કરીને ૩.૭૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓને સુરક્ષિત અને સુવિધાજનક પરિવહન સેવા પૂરી પાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
મહાશિવરાત્રી મેળાને ‘મિનિ કુંભ મેળા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે મેળો અત્યાર સુધીનો સૌથી ભવ્ય અને ઐતિહાસિક બનવાની શક્યતા હોવાથી, શ્રદ્ધાળુઓની ભારે ભીડને પહોંચી વળવા ખાસ આયોજન કરાયું છે. જૂનાગઢ બસ સ્ટેશનથી ગિરનાર તળેટી સુધી દૈનિક ૮૦ વધારાની બસો દોડાવવામાં આવશે, જેથી દર્શનાર્થીઓને સરળ અને ઝડપી પરિવહન મળી રહે.
આ ઉપરાંત, આંતર-જિલ્લા મુસાફરોની સુવિધા માટે ૧૧૫ એક્સપ્રેસ બસોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જૂનાગઢ ડિવિઝનની ૬૫ અને અન્ય ડિવિઝનની ૫૦ એક્સપ્રેસ બસોનો સમાવેશ થાય છે. મેળા દરમિયાન મુસાફરોની સલામતી અને સમયપાલન સુનિશ્ચિત કરવા માટે તમામ બસોનું ૨૪ કલાક જીપીએસ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવશે.એસ.ટી. નિગમ દ્વારા કરવામાં આવેલ આ વિશેષ આયોજનના કારણે ભવનાથ મહાશિવરાત્રી મેળામાં આવતા લાખો શિવભક્તો કોઈ અડચણ વિના મહાદેવના દર્શન કરી શકશે અને મેળાનો આનંદ નિર્ભયતાથી માણી શકશે.