ગાંધીનગર, તા. ૧૬
ગુજરાતમાં આવનારી પવિત્ર ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તડામાર તૈયારીઓ શરૂ કરી છે. આગામી ૧૯ માર્ચથી શરૂ થઈને ૧૭ એપ્રિલ ૨૦૨૬ સુધી ચાલનારી ૩૦ દિવસીય નર્મદા પરિક્રમા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ ઉમટવાની શક્યતા હોવાથી રાજ્ય સરકાર દ્વારા આશરે રૂ. ૧૦ કરોડના ખર્ચે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
સીએમ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ “આસ્થા સાથે સુરક્ષા”ના અભિગમને અનુસરીને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પરિક્રમા દરમિયાન શ્રદ્ધાળુઓને આરામદાયક અને સુગમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે.
હંગામી સુવિધાઓ માટે રૂ. ૫.૪૧ કરોડનો ખર્ચ
પરિક્રમાર્થીઓને યાત્રા દરમિયાન કોઈ અગવડ ન પડે તે માટે વર્ષ ૨૦૨૫–૨૬માં અંદાજે રૂ. ૫.૪૧ કરોડના ખર્ચે હંગામી વ્યવસ્થાઓ મજબૂત બનાવવામાં આવી રહી છે.
તે હેઠળ વધારાના ડોમ શેલ્ટર, મોબાઇલ ટોયલેટ, પાણીના સ્ટેશન, મેડિકલ યુનિટ, ૨૪ કલાક એમ્બ્યુલન્સ સેવા, લાઇટિંગ અને ઇમર્જન્સી હેલ્પ પોઇન્ટ જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવશે. વિશાળ વોટરપ્રૂફ ડોમ શેલ્ટરમાં શ્રદ્ધાળુઓ માટે ખાટલા, ગાદલા, ઓશિકા, ખુરશીઓ અને બેડશીટ સાથે આરામદાયક નિવાસની વ્યવસ્થા કરવામાં આવશે. સાથે જ સ્નાનગૃહ, ચેન્જિંગ રૂમ અને ક્લોક રૂમ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે.

સ્વચ્છતા અને આરોગ્ય પર વિશેષ ભાર
પરિક્રમા વિસ્તારને સ્વચ્છ અને આરોગ્યપ્રદ રાખવા માટે મહિલાઓ અને પુરુષો માટે અલગ હંગામી શૌચાલય અને મોબાઇલ ટોયલેટ વાનની વ્યવસ્થા કરવામાં આવશે. સતત પાણી પુરવઠો, ડ્રેનેજ અને કચરા નિકાલ માટે ખાસ વ્યવસ્થા સાથે હાઉસકીપિંગ ટીમો વિવિધ શિફ્ટમાં કામગીરી કરશે.
આધુનિક ટેક્નોલોજી સાથે સુરક્ષા વ્યવસ્થા
લાખો શ્રદ્ધાળુઓના આગમનને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત બનાવવામાં આવી છે. પરિક્રમા વિસ્તારમાં પોલીસ બૂથ, સુરક્ષા કેબિન અને વોચ ટાવર ઉભા કરવામાં આવશે.
ભીડ નિયંત્રણ માટે બેરિકેડિંગ ઉપરાંત ઇન્ફ્રારેડ અને રેડિયો ફ્રિક્વન્સી આઈડેન્ટિફિકેશન આધારિત હેડ કાઉન્ટ સિસ્ટમ દ્વારા યાત્રાળુઓની અવરજવર પર નજર રાખવામાં આવશે.
સમગ્ર માર્ગ પર લાઇટિંગ અને સર્વેલન્સ
પરિક્રમા માર્ગ અને તમામ ઘાટોને પ્રકાશિત કરવા માટે ૧૮ કિલોમીટર માર્ગ પર એલઇડી અને ફ્લડ લાઇટ લગાવવામાં આવશે. જાહેર ઉદ્ઘોષણાઓ માટે સાઉન્ડ સિસ્ટમ, વાયરલેસ કોમ્યુનિકેશન અને સીસીટીવી સર્વેલન્સની વ્યવસ્થા પણ રહેશે.
કાયમી સુવિધાઓના વિકાસ પર પણ ભાર
રાજ્ય સરકાર દ્વારા નર્મદા પરિક્રમાર્થીઓ માટે કાયમી સુવિધાઓના વિકાસ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં આશરે રૂ. ૫.૦૭ કરોડના ખર્ચે કાયમી માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવી છે.
તેમાં શ્રી મઢી દેવસ્થાન, શ્રી સિદ્ધટેકરી રામકુંડ અને શ્રી બલબલા કુંડ ખાતે પેવર બ્લોક પાથવે, સુવિધા કેન્દ્ર, પીવાના પાણીની વ્યવસ્થા, શૌચાલય, સોલાર લાઇટ, યાત્રી નિવાસ અને ડ્રેનેજ સિસ્ટમ જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.