આગ માં 10 મુસાફરો જીવતા સળગી ગયા
આંધ્ર પ્રદેશના Markapuram જિલ્લામાં ગુરુવારે વહેલી સવારે એક ભયાનક રોડ અકસ્માત સર્જાયો હતો, જેમાં ઓછામાં ઓછા 10 મુસાફરો જીવતા સળગી ગયા હતા, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના રાયવરમ ગામ નજીક સવારે લગભગ 6:00 થી 6:30 વાગ્યાના સમયગાળા દરમિયાન બની હતી.
પોલીસ દ્વારા મળેલી પ્રાથમિક માહિતી મુજબ, ખાનગી ટ્રાવેલ્સની બસ તેલંગાણાના નિર્મલથી નેલ્લોર તરફ જઈ રહી હતી, ત્યારે એક ઝડપથી આવતી ટિપર ટ્રક બસ સાથે અથડાઈ હતી. અથડામણ એટલી જોરદાર હતી કે બંને વાહનોમાં તાત્કાલિક આગ લાગી ગઈ અને થોડી જ ક્ષણોમાં આખી બસ આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગઈ. આ બસમાં અંદાજે 40 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માત બાદ બસના પાછળના ભાગમાં બેઠેલા મુસાફરો બહાર નીકળી શક્યા નહોતા, જેના કારણે મૃત્યુઆંક ઊંચો રહ્યો છે. જ્યારે આગળના ભાગમાં બેઠેલા કેટલાક મુસાફરો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા.
સ્થળ પર પહોંચેલા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે બસ વળાંક લઈ રહી હતી , દરમિયાન ઓવરસ્પીડમાં આવી રહેલી ટ્રકએ તેને ટક્કર મારી હતી. જોકે, અકસ્માતના સાચા કારણ અંગે હજી વધુ તપાસ ચાલી રહી છે. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. રાહત અને બચાવ કામગીરી માટે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો સતત કામગીરી કરી રહી છે અને બસમાં ફસાયેલા અન્ય મુસાફરોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે.
આ ઘટનાને લઈને N. Chandrababu Naiduએ ગહન દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે તાત્કાલિક અધિકારીઓ સાથે વાત કરીને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવા અને બચાવ કામગીરીને ઝડપી બનાવવાના નિર્દેશ આપ્યા છે. સાથે જ તેમણે મૃત્યુઆંક વધવાની શક્યતા અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. હાલમાં મૃતકોની ઓળખ પ્રક્રિયા ચાલી રહી છે અને પોલીસ સમગ્ર ઘટનાક્રમની વિગતવાર તપાસ કરી રહી છે.