National

ઉત્તરાખંડના ૐ પર્વત પરથી ‘ૐ’ અને ‘બરફ’ ગાયબ થયા?, જાણો શું છે મામલો

ઉત્તરાખંડના (Uttarakhand) કુમાઉ પ્રદેશના પિથોરાગઢ પ્રદેશથી કૈલાશ માનસરોવરના માર્ગે સુપ્રસિદ્ધ ૐ પર્વત (Om mountain) આવેલો છે. પરંતુ હાલના દિવસોમાં આ પર્વત પરથી ૐ ગાયબ થઇ ગયો છે. આટલું જ નહીં પણ બારેમાસ બરફની સફેદ ચાદરથી છવાયેલા આ પર્વત ઉપરથી બરફ પણ ગાયબ થઇ ગયો છે. આ ઘટનાએ દેશભરના પર્યાવરણવિદો અને પર્યાવરણ વૈજ્ઞાનિકોની ચિંતા વધારી દીધી છે, કારણ કે આ પ્રકારની ઘટના ઘણી અસામાન્ય છે.

અસલમાં ઉત્તરાખંડના પિથોરાગઢમાં સ્થિત ૐ પર્વત પરથી બરફ પીગળી જતા પર્વતની ઓળખ એવો ‘ૐ’ અક્ષર સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગયો છે. હવે અહીં માત્ર કાળો પહાડ જ નજરે ચઢે છે. આ પર્વત 5900 મીટર એટલે કે 19356 ફૂટ ઊંચો છે. ત્યારે આ અનિચ્છનીય કુદરતી ઘટનાથી લોકો ચોંકી ઉઠ્યા છે. જ્યારે વૈજ્ઞાનિકોએ આ ઘટના માટે ક્લાઈમેટ ચેન્જ અને વધતા તાપમાનને જવાબદાર ગણાવ્યું છે.

સમગ્ર મામલે પર્યાવરણ માટે કામ કરતા કુંડલ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે પિથોરાગઢ જિલ્લામાં ચીન સરહદ નજીક નાભિધંગથી ૐ પર્વતનું ભવ્ય અને દિવ્ય દૃશ્ય જોવા મળતું હતું. હાલમાં વૈશ્વિક તાપમાનમાં વધારાને કારણે હિમાલયના આ વિસ્તારમાં બરફ ઝડપથી પીગળી રહ્યો છે. તેથી જ ૐ પર્વત પરથી પણ બરફ ગાયબ થઈ ગયો છે. હિમાલયની એક શૃંખલામાં બનેલી આ ઘટનાએ સૌ કોઇને ચોંકાવી દીધા છે. પરંતુ હિમાલયમાં સતત બાંધકામ, વધતું તાપમાન અને માનવ દખલગીરી પણ આ ઘટના પાછળનું મુખ્ય કારણ હોઇ શકે છે.

આ સાથે જ ઉત્તરાખંડના સ્થાનિક પર્યાવરણવિદ ભગવાન સિંહ રાવતે કહ્યું હતું કે પિથૌરાગઢમાં લાંબા સમયથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. પ્રવાસનને કારણે ભીડ પણ વધી છે. ત્યારે આ કારણે વાતાવરણમાં બદલાવ આવ્યો હોવાની પણ સંભાવના છે. બસ આ જ કારણે પર્વતમાંથી બરફ પીગળી રહ્યો છે. તેમજ ૐ પર્વતમાંથી બરફ પીગળવો એ ગંભીર ઘટના છે અને ભવિષ્ય માટે ચેતવણી પણ છે. વૈજ્ઞાનિકોએ આ બાબતનો વિગતવાર અભ્યાસ કરવો જોઈએ. જેથી હિમાલયના બરફને સમયસર બચાવી શકાય.

આટલું જ નહીં પણ એક નવા સંશોધનમાં ડરામણો ખુલાસો સામે આવ્યો છે. આ સંશોધનનો ડેટા ક્લાઈમેટિક ચેન્જ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. ડેટા મુજબ જો દેશનું તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ સુધી વધે છે, તો હિમાલયના 90 ટકા વિસ્તારોએ એક વર્ષથી વધુ સમય માટે દુષ્કાળનો સામનો કરવો પડશે. તેમજ અહીં પીવા અને સિંચાઈ માટે પાણીની અછત સર્જાશે.

Most Popular

To Top