ચંદીગઢ માટે મોટા સમાચાર આવ્યા છે. હવે અહીં રહેતા અન્ય પછાત વર્ગોના લોકો (OBC) ને સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં 27% અનામત મળશે. કેન્દ્ર સરકારે હરિયાણામાં લાગુ “પછાત વર્ગો (સેવાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત) અધિનિયમ, 2016″ને ચંદીગઢમાં પણ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.
આ નવો નિયમ તા.5 ઓગસ્ટ, 2025થી અમલમાં આવી ગયો છે. મહત્વની વાત એ છે કે આ અનામત ફક્ત ‘ક્રીમી લેયર’ની બહારના OBC ઉમેદવારોને જ મળશે અને પાત્રતા કેન્દ્રીય OBC યાદીના આધારે નક્કી થશે.
છ વર્ષમાં તબક્કાવાર લાગુ થશે અનામત:
27% અનામત તુરંત લાગુ નહીં કરવામાં આવે, પરંતુ તેને છ વર્ષમાં તબક્કાવાર અમલમાં લાવવામાં આવશે.
પહેલા વર્ષે 3%
બીજું વર્ષ 4%
ત્રીજું વર્ષ 4%
ચોથું વર્ષ 5%
પાંચમું વર્ષ 5%
છઠ્ઠું વર્ષ 6%
આ રીતે કુલ 27% અનામત પૂર્ણ થશે.
71 OBC જાતિઓને મળશે લાભ:
આ નવા નિયમ અનુસાર, કુલ 71 OBC જાતિઓને આ અનામતનો લાભ મળશે. તેમાં આહીર/યાદવ, સૈની, નાઈ, ધોબી, મોચી, કુમ્હાર, લોહાન, વણકર, સુવર્ણકાર, ગડરિયા, પાલ, મલ્લાહ, કશ્યપ-રાજપૂત, ગુર્જર, મીના, લબાના, રામગઢિયા સહિત અન્ય જાતિઓનો સમાવેશ થાય છે.
સૂચનામાં “પછાત વર્ગ” શબ્દને બદલે “અન્ય પછાત વર્ગ (OBC)” શબ્દ ઉપયોગમાં લેવામાં આવ્યો છે.
આ નિર્ણયથી ચંદીગઢમાં રહેલા પછાત વર્ગોના વિદ્યાર્થીઓ અને નોકરી શોધતા યુવાનોને નવી આશા મળશે અને સામાજિક ન્યાયના દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.