National

હાલની ટોલનાકા પદ્ધતિ ઉપર નીતિન ગડકરીએ લગાવી રોક, કરી મહત્વની જાહેરાત

નવી દિલ્હી: કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ (Nitin Gadkari) આજે શુક્રવારના રોજ એક મોટો નિર્ણય લીધો હતો. તેમણે હાલની ટોલ સિસ્ટમ (Old toll system) નાબૂદ કરી દીધી છે. આ સાથે જ ગડકરીએ આજે સેટેલાઇટ ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરવાની જાહેરાત (Announcement) પણ કરી હતી.

નીતિન ગડકરી આજે શુક્રવારે 26 જુલાઈના રોજ રાજ્યસભામાં નવી ટોલ સિસ્ટમની જાહેરાત કરી હતી તેમજ આસંદર્ભે તેમણે રાજ્યસભામાં એક જવાબ પણ દાખલ કર્યો હતો. રાજ્યસભામાં પોતાની રજુઆત દરમિયાન ગડકરીએ કહ્યું હતું કે સરકાર જૂની ટોલ પદ્ધતિ નાબૂદ કરી રહી છે અને ટૂંક સમયમાં સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરવામાં આવશે. આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો ઉદ્દેશ ટોલ કલેક્શન વધારવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે.

રાજ્યસભામાં લેખિત જવાબ આપતાં ગડકરીએ એમ પણ કહ્યું હતું કે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (GNSS) લાગુ કરવા જઈ રહ્યું છે. હાલમાં આ માત્ર પસંદગીના ટોલ પ્લાઝા પર જ લાગુ થશે. આ પહેલા પણ નીતિન ગડકરીએ કહ્યું હતું કે, “હવે અમે જૂની ટોલ સિસ્ટમ નાબૂદ કરી રહ્યા છીએ અને સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ લાગુ કરવામાં આવશે. જેના અંતર્ગત તમારા બેંક ખાતામાંથી ટોલના પૈસા કાપવામાં આવશે અને આ ટોલ ફી અંતર અને સમય પ્રમાણે વસૂલવામાં આવશે. જેનાથી સમય અને પૈસાની બચત થશે. પહેલા મુંબઈથી પૂણે જવા માટે 9 કલાક લાગતા હતા, હવે તે ઘટીને 2 કલાક થઈ ગયા છે. જેનો ફાયદો હવે ટોલની બાબતમાં પણ જોવા મળશે.”

ગયા મહિને ન્યુ ટોલ ટેક્સ સિસ્ટમ બેઝ્ડ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું
GNSS-આધારિત સિસ્ટમો પર હિતધારકોની સલાહ લેવા માટે 25 જૂન, 2024 ના રોજ એક આંતરરાષ્ટ્રીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 7 જૂન 2024ના રોજ વૈશ્વિક અભિવ્યક્તિ (EOI) સમિટનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં વ્યાપક ઔદ્યોગિક ભાગીદારીને પણ મહત્વ આપવામાં આવ્યું હતું. આ સાથે જ EOI સબમિટ કરવાની છેલ્લી તારીખ 22 જુલાઈ, 2024 હતી.

નીતિન ગડકરીએ ગયા વર્ષે જ નવી સિસ્ટમ વિશે માહિતી આપી હતી
ગત વર્ષે ડિસેમ્બરમાં નીતિન ગડકરીએ નવી ટોલ સિસ્ટમની જાહેરાત કરી હતી અને જણાવ્યુ હતું કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ માર્ચ 2024 સુધીમાં આ નવી સિસ્ટમ લાગુ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. તેમજ વિશ્વ બેંકને પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવા અને ટોલ પ્લાઝા પર વેઇટિંગનો સમય ઘટાડવાના પ્રયાસો વિશે પણ ચર્ચા કરવામાં આવી છે. આ સાથે જ ગડકરીએ જણાવ્યું હતું FASTag ની રજૂઆત સાથે ટોલ પ્લાઝા પર સરેરાશ રાહ જોવાનો સમય નોંધપાત્ર રીતે ઘટ્યો છે. તેમજ કર્ણાટકમાં NH-275 ના બેંગલુરુ-મૈસુર વિભાગ અને હરિયાણામાં NH-709 ના પાણીપત-હિસાર વિભાગ પર નવી ટોલ પદ્ધતિનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top