National

મહારાષ્ટ્ર: અયોગ્યતાના કેસમાં ચુકાદો, ‘ચૂંટણી પંચના રેકોર્ડ મુજબ શિંદે જૂથ જ વાસ્તવિક શિવસેના છે’

મહારાષ્ટ્ર: મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરે આજે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના જૂથના ધારાસભ્યો વિરુદ્ધ અયોગ્યતાના કેસમાં ચુકાદો સંભળાવ્યો હતો. લગભગ 18 મહિના પહેલા શિંદે સહિત 39 ધારાસભ્યોએ તત્કાલિન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ બળવો કર્યો હતો. જેના કારણે 57 વર્ષ જૂની પાર્ટી શિવસેનામાં ભાગલા પડ્યા હતા અને મહાવિકાસ અઘાડીની સરકાર પડી ગઈ હતી. આ ઘટના બાદ બંને જૂથોએ એકબીજાના ધારાસભ્યોને અયોગ્ય ઠરાવવાની માંગણી કરતી અરજીઓ કરી હતી.

બંને પક્ષોના નેતૃત્વ માળખા અંગે અલગ-અલગ મંતવ્યો – સ્પીકર
મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે જણાવ્યું હતું કે, “બંને પક્ષો (શિવસેનાના બે જૂથો) દ્વારા ચૂંટણી પંચને સબમિટ કરવામાં આવેલા બંધારણ પર કોઈ સમજૂતી નથી. બંને પક્ષોના નેતૃત્વ માળખા પર અલગ-અલગ મંતવ્યો છે. હું તેનાથી ખુશ નથી. નેતૃત્વ કે જે વિવાદ પહેલા અસ્તિત્વમાં હતું. બંધારણને ધ્યાનમાં રાખીને સંબંધિત બંધારણ નક્કી કરવું પડશે…”

ઠાકરે જૂથે પક્ષના બંધારણમાં ગેરકાયદેસર ફેરફારો કર્યા – સ્પીકર
રાહુલ નાર્વેકરે વધુમાં કહ્યું કે બંને જૂથોએ પાર્ટીના અલગ-અલગ બંધારણનો ઉલ્લેખ કર્યો હતો. ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા આપવામાં આવેલા પક્ષમાં બંધારણની તારીખ ન હતી. તેથી તેને સ્વીકારવામાં આવી ન હતી. તેમજ ઠાકરે જૂથે પક્ષના બંધારણમાં ગેરકાયદેસર ફેરફારો કર્યા છે અને તે અમાન્ય છે. 2023માં શિંદે જૂથે બંધારણમાં યોગ્ય ફેરફારો કર્યા હતા. તેથી તે જ સ્વીકારવામાં આવશે. 2013 અને 2018માં ચૂંટણી થઈ ન હતી.

ઉદ્ધવ પાસે શિંદેને સસ્પેન્ડ કરવાની સત્તા નથી-સ્પીકર
સ્પીકરે વધુમાં કહ્યું કે ‘બંને જૂથો દ્વારા રજૂ કરાયેલ પક્ષનું બંધારણ અલગ-અલગ છે. ચૂંટણી પંચ પાસે 1999નું શિવસેનાનું બંધારણ છે. અને આ આપણે સ્વીકારીશું. શિવસેનાના મૂળ બંધારણમાં પક્ષ પ્રમુખનો કોઈ ઉલ્લેખ નથી. ઉદ્ધવ ઠાકરે પાર્ટીમાંથી કોઈને હાંકી નહીં શકે. ઉદ્ધવ પાસે શિંદેને સસ્પેન્ડ કરવાની સત્તા નહોતી. માત્ર રાષ્ટ્રીય કાર્યકારિણી જ કોઈને હટાવી શકે છે.

શું છે સમગ્ર મામલો
લગભગ દોઢ વર્ષ પહેલા, 20 જૂન, 2022 ના રોજ એકનાથ શિંદે અને તેમના જૂથના 39 ધારાસભ્યોએ શિવસેના સામે બળવો કર્યો હતો અને ભાજપ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી. ત્યાર બાદ શિંદેને સીએમ બનાવવામાં આવ્યા હતા. તેમજ દેવેન્દ્ર ફડણવીસ ડેપ્યુટી સીએમ બન્યા હતા. સમગ્ર ઘટના બાદ ઉદ્ધવ પાર્ટીએ પહેલા પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ સ્પીકરને નોટિસ આપી હતી. ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને બંને જૂથોએ એકબીજાના ધારાસભ્યોને અયોગ્ય ઠરાવવાની માંગણી કરતી અરજીઓ દાખલ કરી હતી.

Most Popular

To Top