Dakshin Gujarat Main

ગરીબોની બે હજાર રકમ બાકી હોય તો લાઈટ કનેક્શનો કપાય છે, ઉદ્યોગો સામે કાર્યવાહી કેમ થતી નથી?

અંકલેશ્વર: ગુજરાતના ઔદ્યોગિક હબ તરીકે ગણાતા ભરૂચ જિલ્લામાં છેલ્લા ૧૪ માસમાં ૨૪ જેટલી ઔદ્યોગિક અકસ્માતની ઘટનાઓ સર્જાઇ છે. જેમાં ૪૨ વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે. સાથે જ ભરૂચ જિલ્લાની ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટની કચેરીમાં ૫૦ ટકા જેટલો સ્ટાફ ઓછો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

ભરૂચ જિલ્લો ઔદ્યોગિક હબ તરીકે વિશ્વના નકશા પર અંકિત થયો છે. જિલ્લાના ૨૫૦૦થી વધુ ઔદ્યોગિક એકમોમાં હજારો કામદારો રોજગાર મેળવી રહ્યા છે. ત્યારે આંકડા મુજબ છેલ્લા બાર મહિનામાં ૨૪ જેટલી ઔદ્યોગિક દુર્ઘટનાઓમાં ૪૨ કામદારોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે કામદારોની સુરક્ષા અને સલામતી અંગે પ્રશ્ન ઊઠવા સ્વાભાવિક છે. આ અંગે વિધાનસભામાં પુછાયેલા સવાલના જવાબમાં જાણવા મળ્યું છે કે, ગુજરાતભરની ઔદ્યોગિક વસાહતોમાં છેલ્લાં બે વર્ષમાં 277 જેટલા કામદારોના મૃત્યુ નિપજ્યાં છે. જેમાં ભરૂચ જિલ્લાની સાત ઔદ્યોગિક વસાહતોમાં ૯૫ જેટલા કામદારોનાં મૃત્યુ થયાં છે. આધારભૂત વર્તુળ દ્વારા મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લામાં ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટ કાર્યરત છે. પરંતુ તેનો સ્ટાફ્ માટે ૫૦ ટકા જેટલો છે. 2500 જેટલા જિલ્લાભરમાં વ્યાપ્ત ઉદ્યોગોમાં સુરક્ષા અને સલામતી વ્યવસ્થાનું નિયમિત રીતે ચેકિંગ થવું જોઈએ. એના માટે ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને ડેપ્યુટી ડિરેક્ટરની ખાસ જરૂર હોય છે. જેમાં બે જગ્યા ખાલી પડી છે. અને ફેક્ટરમાં એક જગ્યા ખાલી પડી છે. ૨૫૦૦ જેટલાં એકમોમાં નિયમિત રીતે મોનિટરિંગ કરવું હોય તો કેટલા અધિકારીઓ જોઈએ એની કદાચ સરકારને ખબર નથી.

અન્ય માહિતી ઊર્જા મંત્રી સૌરભ પટેલે આપી હતી કે, એક લાખ કે તેથી વધુનું લાઇટ બિલના ભર્યું હોય તેવા 6002 ઔદ્યોગિક એકમો પાસેથી ગુજરાત સરકારના ઊર્જા વિભાગને 1186 કરોડ રૂપિયાથી વધુ વસૂલાત બાકી છે. જેમાં સૌથી વધુ વીજબિલની બાકી વસુલાતમાં ભરૂચ જિલ્લાના ઉદ્યોગો પ્રથમ ક્રમે છે. ભરૂચ જિલ્લાનાં 252 એકમ પાસેથી 281.65 કરોડની વસૂલાત બાકી છે. આ અંગે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના નાના અને ગરીબ માણસો હજાર કે બે હજાર રૂપિયાની નાની રકમ બાકી હોય તો સરકાર તેમના લાઈટ કનેક્શનો કાપી નાંખે છે. જ્યારે ઉદ્યોગો સામે આવી કાર્યવાહી કરવામાં આવતી નથી. આમ પ્રદૂષણ બાબતે ભરૂચ જિલ્લાનું નામ મોખરે રહેતું આવ્યું છે પણ હવે વીજ બિલ બાકી અને અકસ્માતો પણ અગ્રેસર રહ્યું છે.

એક તરફ સરકાર સુરક્ષા અને સલામતીની વાતો કરે છે ત્યારે બીજી તરફ ઔદ્યોગિક એકમોમાં ઘટતી દુર્ઘટનાઓ સામે આંખ મિંચામણા કરે છે એવી છબિ ઊભી થઈ રહી છે. ખાલી જગ્યા ઉપર સરકાર ભરતી કેમ નથી કરતી એ પણ એક વિચાર માંગી લે એવો પ્રશ્ન છે. આજે ભરૂચ જિલ્લામાં મર્યાદિત અધિકારીઓ સાથે ૫૦૦થી વધુ એકમો જે જિલ્લાભરમાં છે. એનો રોજેરોજ સુરક્ષા સલામતીનો ઇન્સ્પેક્શન શક્ય નથી. ત્યારે સરકાર આ બાબતે શું પગલાં લે છે એ એક સવાલ ઊભો થયો છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top