India

ખલ્લારી માતા મંદિરે દુર્ઘટના: રોપ-વે તૂટતા એક મહિલા મોતને ભેટી, 8 શ્રદ્ધાળુ ઇજાગ્રસ્ત

છત્તીસગઢના મહાસમુંદ જિલ્લામાં આવેલા ખલ્લારી માતા મંદિર ખાતે રવિવારે ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને લઈ જતો રોપ-વે અચાનક તૂટી પડી હતી. આશરે 200થી 300 ફૂટની ઊંચાઈએથી ટ્રોલી નીચે પટકાતા એક મહિલાનું મોત નિપજ્યું છે, જ્યારે ઓછામાં ઓછા 8 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ મંદિર લગભગ 4000 ફૂટ ઊંચી પહાડી પર આવેલું હોવાથી શ્રદ્ધાળુઓ માટે રોપ-વે મહત્વપૂર્ણ સાધન છે. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા મુજબ, ઉપર-નીચે જતી ટ્રોલીઓમાં કુલ 13 જેટલા લોકો સવાર હતા ત્યારે અચાનક વાયર તૂટી ગયો અને બંને ટ્રોલીઓ ધરાશાયી થઈ ગઈ હતી. અકસ્માત બાદ સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર તાત્કાલિક પહોંચી ગયું હતું. તમામ ઘાયલોને નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા, જેમાંથી 5 લોકોની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. ચાર ઘાયલોને વધુ સારવાર માટે રાયપુર રેફર કરવામાં આવ્યા છે. બધા પીડિતો રાયપુરના ટિકરાપારા અને દલદલ સિવની વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઘટના સમયે જિલ્લા કલેક્ટર વિનય કુમાર લંગેહ દિલ્હીમાં બેઠક માટે હાજર હતા, છતાં તેઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ, આ દુર્ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને રોપ-વેની જાળવણીમાં બેદરકારી દાખવનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top