અમદાવાદ : આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ગુજરાતમાં ખેડૂતો અને બેરોજગાર યુવાનોના પ્રશ્નોને લઈ 26 માર્ચે જામનગરના લાલપુર ખાતે મહાસંમેલન યોજાશે. આ મહાસંમેલનમાં આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાજરી આપશે.
આપના હેમંત ખવાએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતમાં ભાજપનું શાસન હોવા છતાં ખેડૂતોના મૂળભૂત પ્રશ્નો યથાવત રહ્યા છે. જમીન માપણી, પાકના યોગ્ય ભાવ અને સિંચાઈના પાણી જેવી સમસ્યાઓને કારણે ખેડૂત વર્ગ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. ત્યારે 26 માર્ચે સાંજે 5 વાગ્યે લાલપુર ખાતે યોજાનાર મહસંમેલનમાં ખેડૂતો અને યુવાનોના પ્રશ્નોને પ્રાથમિકતા આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી તેમજ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ હાજરી આપશે.