પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની સેનાને ભારે નુકસાન પહોંચાડવાનો મોટો દાવો કર્યો છે. રિપબ્લિકન સાંસદોને સંબોધતા ટ્રમ્પે જણાવ્યું કે છેલ્લા સાડા ત્રણ દિવસમાં અમેરિકન સેનાએ ઈરાનની નેવીના 46 જહાજોને દરિયામાં ડૂબાડી દીધા છે. ટ્રમ્પે એક સૈન્ય અધિકારી સાથેની વાતચીતનો ઉલ્લેખ કરતા કહ્યું કે જ્યારે તેમણે અધિકારીને પૂછ્યું કે આ જહાજોને કબજે કેમ ન કર્યા, ત્યારે જવાબ મળ્યો હતો કે જહાજોને ડૂબાડવું વધુ સુરક્ષિત છે. ટ્રમ્પે આ વાતને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી પણ કરી કે સૈનિકોને જહાજોને તોડી પાડીને ડૂબાડવામાં વધારે આનંદ આવે છે. તેમના આ નિવેદનને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા અને ટીકા શરૂ થઈ છે. ટ્રમ્પે વધુમાં દાવો કર્યો કે ઈરાનની નેવી અને એરફોર્સ લગભગ ખતમ થઈ ગઈ છે અને યુદ્ધ અંતિમ તબક્કામાં છે. જોકે તેમના નિવેદનમાં થોડો વિરોધાભાસ પણ જોવા મળ્યો હતો. એક તરફ તેમણે યુદ્ધ અંત તરફ હોવાનું કહ્યું, જ્યારે બીજી તરફ સ્પષ્ટ કર્યું કે ઈરાન સંપૂર્ણ રીતે પરાજિત ન થાય ત્યાં સુધી સૈન્ય કાર્યવાહી ચાલુ રહેશે.
બીજી તરફ ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ ટ્રમ્પના દાવાઓને ફગાવી દીધા છે. IRGC એ જણાવ્યું કે યુદ્ધ ક્યારે સમાપ્ત થશે તે તેઓ નક્કી કરશે. સાથે જ તેમણે ચેતવણી આપી કે જો અમેરિકા અને ઈઝરાયલના હુમલા ચાલુ રહેશે તો તેઓ આ વિસ્તારમાંથી એક લિટર તેલ પણ બહાર જવા નહીં દે. આ સંઘર્ષના કારણે વિશ્વના સૌથી મહત્વના દરિયાઈ માર્ગોમાંથી એક ગણાતા સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં અવરજવર પર ભારે અસર પડી છે. વિશ્વના કુલ તેલ અને ગેસ પુરવઠાનો લગભગ 20% હિસ્સો આ માર્ગથી પસાર થાય છે, પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી ટેન્કરો અટવાઈ પડ્યા છે. ગલ્ફ દેશોમાં સ્ટોરેજ ભરાઈ જતા તેલનું ઉત્પાદન ઘટાડવાની સ્થિતિ પણ સર્જાઈ છે. નોંધનીય છે કે 28 ફેબ્રુઆરીથી અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત હુમલાઓ બાદ આ સંઘર્ષ વધુ વકર્યો છે. ઈઝરાયલનું લક્ષ્ય ઈરાનની સત્તામાં ફેરફાર લાવવાનું હોવાનું માનવામાં આવે છે, જ્યારે અમેરિકાનું ધ્યાન ઈરાનના મિસાઇલ અને પરમાણુ કાર્યક્રમોને નિષ્ક્રિય કરવાની દિશામાં છે. ટ્રમ્પના વિવાદાસ્પદ નિવેદન અને તેમના હાસ્ય પર હવે વૈશ્વિક સ્તરે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.