World

ઈરાનમાં રહેતા ભારતીયો માટે, આવતા 48 કલાક જયાં હોવ ત્યાં જ રહેવાની, ભારતીય દૂતાવાસે એડવાઇઝરી જાહેર કરી

ઈરાનમાં વધતા યુદ્ધના તણાવ વચ્ચે ત્યાં રહેતા ભારતીયો માટે તાત્કાલિક સલાહકાર જારી કરવામાં આવ્યો છે. ઈરાનમાં આવેલા ભારતીય દૂતાવાસે આગામી 48 કલાક માટે તમામ ભારતીયોને જ્યાં છે ત્યાં જ રહેવાની સલાહ આપી છે. હાલની પરિસ્થિતિને જોતા સુરક્ષા સૌથી મોટી ચિંતા બની છે. અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ હવે ગંભીર સ્થિતિમાં પહોંચી ગયો છે. Donald Trump દ્વારા પણ કડક ચેતવણી આપવામાં આવી છે કે પરિસ્થિતિ વધુ ભયાનક બની શકે છે. એક તરફ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર હુમલા થઈ રહ્યા છે, તો બીજી તરફ ઈરાન પણ જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. આ કારણે સમગ્ર વિસ્તાર યુદ્ધના માહોલમાં ફેરવાઈ ગયો છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય દૂતાવાસે સ્પષ્ટ સૂચના આપી છે કે તમામ ભારતીયોએ ઘરની અંદર જ રહેવું જોઈએ. ખાસ કરીને પાવર પ્લાન્ટ, લશ્કરી ઠેકાણાં અને બહુમાળી ઇમારતોના ઉપરના માળથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે આવા સ્થળો જોખમી બની શકે છે. વધુમાં જણાવાયું છે કે જે ભારતીયો દૂતાવાસ દ્વારા બુક કરાયેલી હોટેલોમાં રહે છે, તેઓએ પણ બહાર ન નીકળવું અને સલામત રીતે અંદર જ રહેવું. સાથે જ દૂતાવાસની ટીમો સાથે સતત સંપર્કમાં રહેવાનું પણ કહેવામાં આવ્યું છે, જેથી કોઈપણ તાત્કાલિક પરિસ્થિતિમાં મદદ મળી શકે. હાલની સ્થિતિ ખૂબ જ સંવેદનશીલ છે અને આગામી 48 કલાક મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. તેથી દરેક ભારતીયને સાવચેત રહેવા અને દૂતાવાસના માર્ગદર્શનનું કડક પાલન કરવા સૂચના આપવામાં આવી છે.

Most Popular

To Top