National

‘ભારત પાસે આખા વિશ્વનું પેટ ભરવાની શક્તિ છે’- PM મોદી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) શનિવારે એક સભાને સંબોધતા ચોંકાવનારો દાવો કર્યો હતો. વડાપ્રધાને સભામાં દાવો કર્યો હતો કે ભારત ફૂડ સરપ્લસ (Food surplus) (વપરાશ કરતાં વધુ અનાજનું ઉત્પાદન કરતો) દેશ બની ગયો છે. હવે ભારત વિશ્વને (world) ખોરાક આપવા અને પોષણ સુરક્ષા માટે ઉકેલો પ્રદાન કરવા માટે કામ કરી રહ્યું છે. ફૂડ સરપ્લસ અર્થાત હવે દેશમાં વપરાશ કરતાં વધુ અનાજ ઉપલબ્ધ છે.

આજે શનિવારે ભારતમાં 65 વર્ષ પછી આયોજિત થનારી 32મી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એગ્રીકલ્ચરલ ઇકોનોમિસ્ટ્સ (ICAE)નું ઉદ્ઘાટન કર્યા બાદ એક સભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું હતું કે દેશનું સામાન્ય બજેટ 2024-25 ટકાઉ ખેતી પર કેન્દ્રિત છે. તેમણે કહ્યું, ‘ભારત હવે ફૂડ સરપ્લસ દેશ છે. ભારત વિશ્વમાં દૂધ, કઠોળ અને મસાલાનું સૌથી મોટું ઉત્પાદક છે. આ ઉપરાંત ભારત અનાજ, ફળો, શાકભાજી, કપાસ, ખાંડ અને ચાના ઉત્પાદનમાં પણ બીજા નંબરનું સૌથી મોટું ઉત્પાદક બની ગયું છે.

ભારતે પોતાનું ચિત્ર બદલ્યું
મોદીએ કહ્યું હતું કે છેલ્લી વખત જ્યારે ભારતે આ સંમેલનનું આયોજન કર્યું હતું, ત્યારે દેશને આઝાદી મળ્યાને વધુ સમય પણ થયો ન હતો. તેમજ તે સમયે દેશમાં કૃષિ અને ખાદ્ય સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ પડકારજનક સમયગાળો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું, “એક સમય હતો જ્યારે ભારતની ખાદ્ય સુરક્ષા વિશ્વ માટે ચિંતાનું કારણ હતી. હવે, ભારત વૈશ્વિક ખાદ્ય અને પોષણ સુરક્ષા માટે ઉકેલો પ્રદાન કરવા માટે કામ કરી રહ્યું છે.” આ વર્ષે કૃષિ અર્થશાસ્ત્રીઓની આંતરરાષ્ટ્રીય પરિષદમાં વિશ્વના 70 દેશોના લગભગ 1,000 પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. ત્યારે ‘ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એગ્રીકલ્ચરલ ઇકોનોમિસ્ટ’ દ્વારા 2 થી 7 ઓગસ્ટ દરમિયાન આ ત્રિવાર્ષિક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.

વિશ્વને પાકની 1,900 નવી પ્રજાતિઓ પ્રદાન કરી
આ વર્ષની કોન્ફરન્સની થીમ “સસ્ટેનેબલ એગ્રી-ફૂડ સિસ્ટમ્સ તરફ” છે. ત્યારે વડાપ્રધાને કહ્યું હતું કે ભારતે છેલ્લા 10 વર્ષમાં આબોહવા પરિવર્તન પ્રત્યે ઓછા સંવેદનશીલ પાકોની 1,900 નવી પ્રજાતિઓ રજૂ કરી છે. ભારત રાસાયણિક મુક્ત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપી રહ્યું છે. તેમજ દેશ પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મિશ્રણના લક્ષ્યને હાંસલ કરવા તરફ આગળ વધી રહ્યો છે. આ પરિષદ વૈશ્વિક કૃષિ પડકારો માટે ભારતના સક્રિય અભિગમને પ્રકાશિત કરશે અને કૃષિ સંશોધન અને નીતિમાં દેશની પ્રગતિને પ્રકાશિત કરશે. આ પરિષદનો ઉદ્દેશ્ય યુવા સંશોધકો અને અગ્રણી વ્યાવસાયિકોને વૈશ્વિક સમકક્ષો સાથે તેમના કાર્ય અને નેટવર્કને રજૂ કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.

Most Popular

To Top