National

‘આવા વાતાવરણમાં મારે જીવવું નથી’, મલ્લિકાર્જુન ખડગે સંસદમાં ભાવુક થયા

નવી દિલ્હી: રાજ્યસભામાં (Rajya Sabha) વિપક્ષના નેતા અને કોંગ્રેસ (Congress) અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Khadge) બુધવારે ભાવુક થઈ ગયા હતા. ત્યારે તેમણે નિરાશામાં કંઇક એવુ. કહી દીધુ કે જે ચર્ચાનો વિષય બની ગયો છે. અસલમાં મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં ભાવુક થઇને કહ્યું હતું કે તેઓ હવે આવા વાતાવરણમાં જીવવા માંગતા નથી.

અસલમાં આજે બુધવારે 31 જુલાઇના રોજ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અધ્યક્ષ જગદીપ ધનખરને ગૃહની કાર્યવાહીમાંથી ભાજપના સાંસદ ઘનશ્યામ તિવારીએ તેમની રાજકીય કારકિર્દી વિશે કરેલી કેટલીક ટિપ્પણીઓને દૂર કરવા વિનંતી કરી હતી ત્યારે અધ્યક્ષે ખાતરી આપી હતી કે તેઓ મંગળવારે ગૃહમાં તિવારી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓની તપાસ કરશે અને ખડગેને ઠેસ પહોંચાડતા કોઈપણ શબ્દો રેકોર્ડ પર રહેશે નહીં. ત્યારે પોતાની આ અપીલ દરમિયાન ખડગે ખુબ જ ભાવુક થયા હતા.આટલું જ નહીં પણ તેઓએ ભાવુક થઇ ત્યાં સુધી કહી દીધુ કે હવે તેઓ આવા વાતાવરણમાં જીવવા માંગતા નથી કે જ્યાં તેમના આત્મસન્માનને કોઇ ક્ષતિ પહોંચે.

ખડગે ગૃહમાં અચાનક ભાવુક થઈ ગયા હતા
ખડગેએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે તિવારીએ તેમની રાજકીય સફરનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ‘તેમનો (ખડગેનો) આખો પરિવાર’ રાજકારણમાં હતો. ખડગેએ કહ્યું, “તેમણે ‘પરિવારવાદ’ વિશે ટિપ્પણી કરી હતી. અત્યારે હું કહી શકું છું કે ભત્રીજાવાદ ક્યાં છે.

ખડગેએ વધુમાં કહ્યું કે તેઓ તેમના પરિવારમાં પ્રથમ પેઢીના રાજકારણી છે અને તેમના માતા-પિતા રાજકારણમાં ન હતા. આ સાથે જ ખડગેએ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા બાદ પોતાના રાજકીય જીવન વિશે પણ કેટલીક વાતો કહી. ખડગેએ કહ્યું, ગઈકાલે હું છેલ્લી ક્ષણે અહીં નહોતો. તે સમયે માનનીય સભ્ય ઘનશ્યામ તિવારીએ ગૃહમાં સમસ્યા રજૂ કરી હતી. તેમણે ભત્રીજાવાદના આક્ષેપો કર્યા હતા. કદાચ મને ખબર નથી કે તેમના મનમાં શું હતું. હું તેમને કહેવા માંગુ છું કે હું રાજનીતિમાં પ્રથમ પેઢીનો છું. આ પાછળ મારા પિતા કે મારી માતા ન હતા. માતા પછી પિતાએ મને ઉછેર્યો છે તેમના આશીર્વાદથી હું અહીં પહોંચ્યો છું.

‘મારા માતા-પિતાએ ખૂબ વિચારીને મારું નામ પસંદ કર્યું’- ખડગે
ખડગેની દલીલો બાદ અધ્યક્ષ ધનખરે તેમને તેમના પિતા કરતા લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવી અને કહ્યું, ‘તમે 95 વર્ષથી વધુ જીવો’. આ શુભેચ્છા પર ખડગેએ ભાવુક થઈને કહ્યું હતું કે, “હું હવે આ વાતાવરણમાં જીવવા માંગતો નથી. મને ખરાબ લાગ્યું કે તિવારીજીએ કહ્યું કે ખડગેનું નામ મલ્લિકાર્જુન છે. આ શિવનું નામ છે. તે 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. મારા માતા-પિતાએ ખૂબ વિચારીને નામ આપ્યું હતું. મારા પરિવારમાં હું એકમાત્ર એવો છું જેણે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. મારા નામ મલ્લિકાર્જુનથી તેને શું સમસ્યા છે?’’

ખડગે માટે ભાજપના નેતાનો કોઈ ખરાબ ઈરાદો નહોતો- અધ્યક્ષ
વાસ્તવમાં મંગળવારે રાજ્યસભામાં બીજેપી સાંસદ ઘનશ્યામ તિવારીએ આપેલા એક નિવેદનથી ખડગેને દુઃખ થયું હતું. કારણ કે ઘનશ્યામ તિવારીએ મલ્લિકાર્જુન ખડગેના નામને લઇ કેટલીક ટિપ્પણીઓ કરી હતી અને તેમના પર ભત્રીજાવાદનો આરોપ પણ લગાવ્યો હતો. ત્યારે ધનખરે કહ્યું હતું કે જ્યારે તિવારીએ મંગળવારે આ ટિપ્પણી કરી ત્યારે તેઓ સીટ પર હતા. અધ્યક્ષના કહેવા પ્રમાણે, તેમને નથી લાગતું કે ભાજપના નેતાનો ખડગે માટે કોઈ ખરાબ ઈરાદો હતો. અધ્યક્ષે ખડગેને ખાતરી આપી કે તેઓ રેકોર્ડની નજીકથી તપાસ કરશે.

Most Popular

To Top