SURAT

વતનમાં જવા મુદ્દે દંપતિ વચ્ચે ઝઘડો થતા આધેડ પતિએ પત્નીને ગળુ દબાવી પતાવી દીધી

સુરત(Surat) : કાપોદ્રામાં રહેતા ખીમાણીયા દંપતિ વચ્ચે વતનમાં જવાના મુદ્દે ઝઘડો થયો હતો. આ ઝઘડાથી કંટાળીને પતિએ (Husband) પત્નીનું (Wife) ગળુ દબાવીને હત્યા (Murder) કરી નાંખી હતી. પોલીસે (Police) પતિની સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી.

  • માતાની તબિયત ખરાબ થયાના સમાચાર સાંભળી પુત્ર ઘરે પહોંચ્યો પરંતુ માતાનું મોત થયુ હતુ
  • પોલીસે પતિની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી

પ્રાપ્ત વિગતો મુજબ મુળ જૂનાગઢના વિસાવદર પાસે ખોડાસણ ગામના વતની અને સુરતમાં કાપોદ્રા એ.કે. રોડ ઉપર ક્ષમા સોસાયટીમાં રહેતા વનરાજ વિઠ્ઠલભાઇ ખીમાણીયા હીરાના કારખાનામાં કામ કરી પરિવારને આર્થિક મદદ કરે છે. વનરાજ જ્યાં કામ કરે છે તે જ કારખાનામાં તેના પિતા વિઠ્ઠલભાઇ પણ મેનેજર તરીકે કામ કરે છે. વનરાજ કારખાનામાં હતો ત્યારે સવારા સાડા આઠ વાગ્યાના અરસામાં તેના પિતા વિઠ્ઠલભાઇ કારખાને આવ્યા હતા અને મોટરસાઇકલની ચાવી આપીને જતા રહ્યા હતા. બપોરના સમયે ઘરે માતાજીને કંઇક થયુ હોવાના સમાચાર મળતા જ વનરાજ ઘરે ગયો હતો. અહીં કાપોદ્રા પોલીસનો સ્ટાફ પણ હાજર હતો. ત્યારે વનરાજે તેના પિતાને સાઇડમાં બોલાવીને પુછપરપછ કરતા વિઠ્ઠલભાઇએ કહ્યું કે, ‘વતનમાં જવાના મુદ્દે માથાકૂટ થઇ હતી, જેથી મેં તારી માતાને રાત્રે અઢી વાગ્યે ગળુ દબાવીને હત્યા કરી નાંખી છે’, આ સાંભળીને વનરાજ પણ ચોંકી ઉઠ્યો હતો. આ બાબતે વનરાજે કાપોદ્રા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખ્નીય છે કે, વનરાજના મોટાપપ્પાની પુત્રી કોમલની સગાઇ રાખી હતી. જેને લઇને પરિવાર વતનમાં જવાનો હતો. પરંતુ વતનમાં જવાના મુદ્દે ઝઘડાઓ થયા હતા. વનરાજનો નાનો ભાઇ તેના મોટાપપ્પાના ઘરે સૂવા ગયો હોવાથી રાત્રીના અઢી વાગ્યે એકલતાનો લાભ લઇને વારંવાર ઝઘડાથી કંટાળી ગયેલા વિટ્ઠલભાઇએ પત્નીનું ગળુ દબાવીને હત્યા કરી હોવાનું પોલીસે કહ્યું હતું.

પાંચ મહિના પહેલા દયાબેન ક્યાંક ચાલ્યા જતાં વિઠ્ઠલભાઇએ મીસીંગની ફરિયાદ કરી હતી
પાંચ મહિના પહેલા વનરાજની માતા દયાબેન ક્યાંક ચાલ્યા ગયા હતા. જે અંગે વિઠ્ઠલભાઇએ દયાબેનના ગુમ થવા અંગે વરાછા પોલીસમાં મીસીંગની ફરિયાદ પણ નોંધાવી હતી. થોડા સમય બાદ દયાબેન પરત મળી આવ્યા હતા. ત્યારબાદ દયાબેન અને વિઠ્ઠલભાઇની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા.

Most Popular

To Top