Dakshin Gujarat

રિસાયેલી પત્ની ઘરે પરત નહીં આવતી હોવાની દાઝ રાખી પતિએ રસ્તામાં જ રોકી કરી નાખી હત્યા

ઉમરગામ : ઉમરગામ (Umargam)ના ફણસામાં છરાના ઘા ઝીંકી પતિ (Husband)એ પત્ની (Wife)ની હત્યા (Murder) કરી નાંખતા ચકચાર મચી જવા પામી હતી. પિયરમાંથી પત્ની સાસરીમાં આવતી નહીં હોવાની દાઝ રાખી હત્યા કરી હોવાના આ બનાવની પોલીસ (Police)માં ફરિયાદ નોંધાતા પોલીસે ભાગી છૂટેલા આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી પ્રાપ્ત જાણકારી મુજબ ઉમરગામ તાલુકાના નારગોલ મરીન પોલીસ સ્ટેશનની હદમાં આવતા ફણસા ગામે મિતનવાડ ફળિયામાં રહેતા પુનિત ગાંડાભાઇ મીતનાએ ગુરુવારે રાત્રે 08:15 વાગ્યાના સુમારે ફણસા માછીવાડ સુથાર ફળિયા રોડ ઉપર પત્ની મમતાબેન (ઉ.૩૦)ને રોકી ઝઘડો કર્યો હતો. સાથે જ ધારઘાર છરા વડે હુમલો કરી ગરદન, માથાના અને હાથના ભાગે ઉપરાછાપરી ઘા મારી લોહીલુહાણ કરી દીધી હતી, અને આમ જ ગંભીર ઇજાઓ પહોંચાડી નાસી ગયો હતો. જો કે ગંભીર ઈજાઓના કારણે તરફડિયા મારતી મમતાને સ્થાનિકો દ્વારા સારવાર માટે વાપીની હરિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું કરૂણ મોત નિપજ્યું હતું.

ઉલ્લેખનીય છે કે પતિ-પત્ની વચ્ચે થોડા વખતથી અણબનાવ હતો અને મમતા તેના પિયરમાં ચાલી ગઈ હતી અને છોકરાઓ પુનિત પાસે જ રહેતા હતા. ગામ અને ફળિયામાં જ પિયર હોવાથી પત્નીને બોલાવવા અવાર-નવાર જતો હતો, પણ પત્ની ઘરે પરત ફરતી ન હતી, અને મમતાને વારંવાર બોલાવવા છતાં તેણી સાસરીમાં આવતી ન હતી. આખરે તેની દાઝ રાખી તેને રસ્તામાં જ રોકી હતી,અને અદાવતમાં છરા વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ બનાવની નારગોલ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દલપતભાઈ વાસુભાઇ મીતના (રહે, ફણસા, મિતનવાડ)એ કરી હતી, જેના આધારે નારગોલ મરીન પોલીસે આરોપી પુનિત ગાંડાભાઇ મીતના વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ એસ.બી.ઝાલા કરી રહ્યા છે.

મહત્વની વાત છે કે માત્ર પત્ની પોતાના ઘરે નહીં આવતી હોવાની દાઝ રાખી હત્યા કરવામાં આવી છે, ત્યારે પતિએ કાયમ માટે હવે પોતાની પત્નીને ખોવાને એની પોતે જેલભેગા થતા બાળકોને પણ નિરાધાર થવાની નોબત આવી છે.

Most Popular

To Top