Gujarat

“નલ સે જલ યોજના” અંતર્ગત ગુજરાતના 96.50 ટકા ઘરોને નળથી જોડાણ

ગાંધીનગર: “નલ સે જલ યોજના” અંતર્ગત રાજ્યના 96.50 ટકા ઘરોને નળથી જોડાણ આપીને દેશના મોટા રાજ્યોમાં ગુજરાત (Gujarat) અગ્રેસર છે. રાજ્યના કુલ ૯૧,૭૭,૪૫૯ ઘરો પૈકી ૮૮,૫૬,૪૩૮ ઘરોને નલ સે જલ યોજના અંતર્ગત નળ જોડાણ આપવામાં સફળતા મળી છે.

ગાંધીનગરમાં આજે પાણીપુરવઠા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા દૂર – સૂદૂર અને દૂર્ગમ વિસ્તારો સહિતના સ્થળોએ ડુંગરાળ પ્રદેશો તેમજ છૂટા છવાયા ઘરોમાં પણ નળનું જોડાણ આપીને નળથી જળ પહોંચાડવાની કામગીરી સુપેરે પૂર્ણ કરવામાં આવી રહી છે. પીએમ નરેન્દ્ર મોદીએ 15 મી ઓગસ્ટ 2019ના રોજ સમગ્ર દેશમાં જલ જીવન મિશનનો પ્રારંભ કરાવ્યો હતો. જેના અંતર્ગત વર્ષ 2024 સુધીમાં દેશના પ્રત્યેક ઘરમાં નળથી શુધ્ધ પીવાનું જળ પહોંચે તે પ્રકારનું આયોજન હાથ ધરાયું છે.

વર્ષ 2019માં જ્યારે નલ સે જલ અભિયાનની શરૂઆત થઇ ત્યારે 71 ટકા ગ્રામીણ વિસ્તારોમાં જ નળથી જળ પહોંચતું હતું. વળી રાજ્યના એક પણ જિલ્લા સંપૂર્ણપણે 100 ટકા નળથી જળ મેળવતા હતા નહીં. પરતું જલ જીવન મિશન અંતર્ગતના નલથી જલ અભિયાનના પરિણામે આજે રાજ્યના 16 જિલ્લાઓ સંપૂર્ણપણે 100 ટકા નલથી જલ અંતર્ગત શુધ્ધ પીવાનું પાણી મેળવતા થયા છે. આ 16 જિલ્લાઓમાં આણંદ, ભાવનગર, બોટાદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ, ખેડા, મહેસાણા, મોરબી, પાટણ, પોરબંદર, રાજકોટ અને વડોદરાનો સમાવેશ થાય છે.

‘નલ સે જલ યોજના’ અંતર્ગત થયેલી તબક્કાવાર કામગીરી પર નજર કરીએ તો, વર્ષ ૨૦૧૯-૨૦ રાજ્યના ૯૧,૭૭,૪૫૯ કુલ ઘર પૈકી ૭૫,૯૪,૩૪૭ ઘરોમાં નળથી જળ પહોંચતું હતું. વર્ષ ૨૦૨૦-૨૧માં ૭૬,૨૦,૯૬૨ એટલે કે 83.04 ટકા ઘરોમાં, વર્ષ ૨૦૨૧-૨૨માં 86,73,575 ટકા એટલે કે 94.51 ટકા ઘરોમાં અને જુન – 2022 સુધીમાં 88,56,438 ઘરોમાં જોડાણ આપીને 96.50 ટકા ઘરોમાં ‘નલ સે જલ’ અતંર્ગત નળ જોડાણ આપવામાં સફળતા મળી છે.

અત્રે નોંધનીય છે કે, જલ જીવન મીશનનો ઉદ્દેશય દરેક ગ્રામીણ ઘરને નિયમિત, શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં નિયત ગુણવત્તાનો પીવાના પાણીનો પુરવઠો લાંબા ગાળા સુધી ઉપલબ્ધ કરાવવીને પ્રજાજનોના જીવનધોરણમાં સુધારો લાવવાનો છે. જલ જીવન મિશન અંતર્ગત લાંબાગાળાના પીવાના પાણીના સ્રોતો માટે પણ કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ગ્રે-વોટર મેનેજમેન્ટ, જળ સંરક્ષણ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ દ્વારા રિચાર્જ અને પાણીના પુન: ઉપયોગ થકી પાણીની ભવિષ્યની જરૂરિયાતને પહોંચી વળવા ટકાઉ સ્રોતોનું આયોજન કરવામાં આવ્યું છે.

Most Popular

To Top