National

અયોધ્યામાં ભવ્ય ધ્વજવંદન સમારોહ: PM મોદી રામ મંદિરની ટોચ પર 22 ફૂટનો ભગવો ધ્વજ ફરકાવશે

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણના અંતિમ તબક્કાની ઉજવણી હવે એક ઐતિહાસિક ક્ષણમાં રૂપાંતરિત થવા જઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તા. 25 નવેમ્બરના રોજ રામ મંદિરની 161 ફૂટ ઊંચી ટોચ પર 22 ફૂટ લાંબો અને 11 ફૂટ પહોળો ભગવો ધ્વજ ફરકાવશે. આ સમારોહ પ્રાણ પ્રતિષ્ઠા જેટલો જ ભવ્ય ગણાશે અને આને મંદિરના નિર્માણ પૂર્ણ થવાનું પ્રતીક માનવામાં આવી રહ્યું છે.

ધ્વજવંદન સમારોહની ભવ્ય તૈયારીઓ શરૂ
અયોધ્યામાં આ સમારોહ માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જણાવ્યા મુજબ આ કાર્યક્રમ માટે પાંચ દિવસીય ધાર્મિક વિધિઓ તા. 21 નવેમ્બરથી શરૂ થશે અને 25 નવેમ્બરે ધ્વજવંદન સમારોહ સાથે પૂર્ણ થશે. સમારોહમાં પીએમ મોદી સાથે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત પણ મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે.

ભવ્ય સમારોહ અને ધાર્મિક વિધિઓ

ધ્વજવંદન સમારોહ દરમિયાન અયોધ્યામાં ધાર્મિક ઉલ્લાસનો માહોલ સર્જાશે. રામ મંદિર ઉપરાંત શિવ, ગણેશ, સૂર્ય, હનુમાન, માતા ભગવતી અને માતા અન્નપૂર્ણાના મંદિરોમાં પણ ધ્વજ ફરકાવવામાં આવશે. રામ મંદિર ટ્રસ્ટે મહેમાનોની સંખ્યા વધારીને 10,000 સુધી રાખી છે. સમારોહ દરમિયાન વિશેષ પ્રાર્થના, હવન અને ધાર્મિક વિધિઓ યોજાશે, જેમાં કાશી અને અયોધ્યાના વિદ્વાન આચાર્યો માર્ગદર્શન આપશે.

ધ્વજના ડિઝાઇનમાં ધાર્મિક પ્રતીકો

રામ મંદિરના ધ્વજમાં સૂર્ય, ઓમ અને કોવિદાર વૃક્ષના પ્રતીકો હશે. જેમનું વર્ણન વાલ્મીકિ રામાયણમાં પણ કરવામાં આવ્યું છે. આ ધ્વજ 42 ફૂટ ઊંચા ધ્વજસ્તંભ પર ફરકાવાશે. જે મંદિરની ટોચ પર સ્થાપિત કરવામાં આવશે.

તકનિકી તૈયારી અને સુરક્ષા વ્યવસ્થા
ધ્વજસ્તંભને 360 ડિગ્રી ફરતા બોલ બેરિંગ વડે ટેકો આપવામાં આવ્યો છે. જેથી ધ્વજ 60 કિમી/કલાકની પવનની ગતિનો સામનો કરી શકે અને તોફાનમાં પણ અખંડિત રહે. ધ્વજ માટેના કાપડની ગુણવત્તા ચકાસવા માટે ખાસ પરીક્ષણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેના પરિણામો તા. 28 ઓક્ટોબરે સમિતિની બેઠકમાં રજૂ થશે.

ભાજપનો વિશાળ મેળાવડો અને અભિયાનનો આરંભ
આ અવસર પર અયોધ્યામાં ભાજપના વરિષ્ઠ નેતાઓનો મોટો મેળાવડો યોજાશે. જે પાર્ટીના નવા અભિયાનની શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યો છે. વડા પ્રધાન ઉત્તર પ્રદેશ વિકાસ અભિયાનની સમીક્ષા કરશે અને જ્વર એરપોર્ટ પ્રોજેક્ટનું નિરીક્ષણ પણ કરશે.

આ ભવ્ય સમારોહ રામ મંદિરના પૂર્ણ નિર્માણની ઘોષણા સાથે સાથે અયોધ્યાને ફરી એકવાર આસ્થા, આધ્યાત્મિકતા અને રાષ્ટ્રગૌરવના કેન્દ્ર તરીકે સ્થાપિત કરશે.

Most Popular

To Top