આચારસંહિતા બાદ કડક કાયદો, આરોગ્ય સાથે ખેલ કરનારાઓને નહીં બક્ષાય
સુરતમાંથી ઉઠેલા ગંભીર આરોગ્ય મુદ્દાએ હવે રાજ્યવ્યાપી ચર્ચા જગાવી છે. નકલી ડોક્ટરો અને લેભાગુ તત્વો દ્વારા લોકોના આરોગ્ય સાથે થતા ખતરનાક ચેડાંને લઈ રાજ્ય સરકાર આક્રમક મૂડમાં આવી છે. પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે આચારસંહિતા પૂર્ણ થયા બાદ આવા તત્વો સામે રાજ્યવ્યાપી કડક અભિયાન શરૂ કરવામાં આવશે.
આ સમગ્ર મુદ્દો ત્યારે ઉગ્ર બન્યો જ્યારે આયુર્વેદિક ડોક્ટરો દ્વારા કામરેજ વિસ્તારમાં ચાલતી શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે રજૂઆત કરવામાં આવી. આરોપ છે કે કેટલાક લોકો આયુર્વેદના નામે ભ્રામક અને બિનઅધિકૃત રીતે સારવાર આપી રહ્યા છે, જે દર્દીઓના જીવન માટે ગંભીર જોખમ બની રહ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે આ પ્રકારના તત્વો દ્વારા અંધશ્રદ્ધા ફેલાવી, શરીરમાં સોય ભોંકવી, દોરા-ધાગા વડે ઉપચાર કરવાના દાવા જેવા જોખમકારક ઉપાયો અપનાવવામાં આવી રહ્યા છે. આવા કિસ્સાઓમાં દર્દીઓના જીવ જોખમમાં મુકાતા હોવાના ઉદાહરણો પણ સામે આવ્યા છે.
સરકાર હવે આ મુદ્દે કડક કાયદાકીય પગલાં લેવા તત્પર છે. વધુમાં મંત્રીએ જણાવ્યું કે બજેટ સત્ર દરમિયાન કાયદામાં જરૂરી સુધારા કરીને નકલી ડોક્ટરો સામે લોખંડી કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવશે. સાથે જ આચારસંહિતા પૂર્ણ થતા જ વિશેષ તપાસ અભિયાન અને રેડ હાથ ધરાશે. આ સાથે જ તમામ આયુર્વેદિક તબીબો માટે ફરજિયાત રજીસ્ટ્રેશન અનિવાર્ય બનાવાશે. જે લોકો પાસે માન્ય ડિગ્રી કે નોંધણી નહીં હોય, તેઓને કાયદેસર પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને સીધી કાર્યવાહી કરવામાં આવશે.
જનતા માટે પણ મહત્વપૂર્ણ ચેતવણી આપવામાં આવી છે કે અંધશ્રદ્ધા અને ભ્રામક ઉપચારથી દૂર રહેવું જરૂરી છે. માત્ર પ્રમાણિત અને લાયકાત ધરાવતા તબીબો પાસેથી જ સારવાર લેવી જોઈએ, ખાસ કરીને જીવલેણ પરિસ્થિતિઓમાં વિલંબ ન કરવો. રાજ્ય સરકારનો આ દૃઢ અભિગમ સ્પષ્ટ કરે છે કે હવે આરોગ્ય ક્ષેત્રમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે કોઈ સહનશીલતા નહીં રાખવામાં આવે.