Gujarat

રાજ્ય-જિલ્લા-તાલુકા-ગ્રામ્ય સ્વાગતમાં કુલ 1180 રજૂઆતોનું સુખદ નિવારણ

ગાંધીનગર: પ્રજાજનોના પ્રશ્નો, સમસ્યાઓની રજૂઆતોના વાજબી નિરાકરણ માટે ટેક્નોલોજીના ઉપયોગથી શરૂ થયેલો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ શુક્રવારે ગાંધીનગરમાં યોજાયો હતો. મુખ્યમંત્રી સમક્ષ રાજ્ય સ્વાગતમાં ૯ જેટલી રજૂઆતો આવી હતી. આ ઉપરાંત જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં રર૩, ગ્રામ સ્વાગતમાં ૭૬ અને તાલુકા સ્વાગતમાં ૧૧પ૦ મળી સમગ્રતયા ૧૪પ૮ જેટલી રજૂઆતો આ સ્વાગત કાર્યક્રમ અનુસંધાને મળી હતી. આ રજૂઆતો પૈકી ૧૧૮૦ રજૂઆતોનું સુચારૂ રીતે નિવારણ લાવી દેવામાં આવ્યું હતું. સીએમ પટેલે કહ્યું હતું કે, સામાન્યમાં સામાન્ય માનવીની રજૂઆત, ફરિયાદનું ન્યાયી અને સમયસર નિવારણ થાય તે જોવાનો જિલ્લા અધિકારીઓને અનુરોધ કર્યો છે.

રાજ્યના જનતા જનાર્દનની ફરિયાદો રજૂઆતોના ટેક્નોલોજીના માધ્યમથી સંવાદ-માર્ગદર્શન દ્વારા નિવારણનો આ ”સ્ટેટ વાઇડ એટેન્શન ઓન પબ્લીક ગ્રિવન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેક્નોલોજી” (SWAGAT) સ્વાગત કાર્યક્રમ પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતના તેમના મુખ્યમંત્રી પદ કાળ દરમ્યાન ૨૦૦૩થી શરૂ કરાવેલો છે. આ ‘સ્વાગત’ કાર્યક્રમ અંતર્ગત દર મહિનાના ચોથા ગુરૂવારે યોજાતા રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રી નાગરિકોની ફરિયાદો રજૂઆતો પ્રત્યક્ષ સાંભળે છે. તદ્દઅનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યકક્ષાના સ્વાગત કાર્યક્રમમાં ગાંધીનગરમાં મુખ્યમંત્રીના જનસંપર્ક એકમના સ્વાગત કક્ષમાં રજૂઆતકર્તા અરજદારોની રજૂઆત પ્રત્યક્ષ સાંભળી હતી.

મુખ્યમંત્રી પટેલે આ રાજ્ય સ્વાગતમાં વિડીયો કોન્ફરન્સથી જોડાયેલા જિલ્લા વહિવટીતંત્રના અધિકારીઓને માર્ગદર્શન આપતાં કહ્યું હતું કે, ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ જ પ્રશ્નો-રજૂઆતોનો ઉકેલ લાવી રાજ્ય સ્વાગતમાં કોઇ અરજદારે આવવું જ ન પડે તેવી આદર્શ સ્થિતિ સ્થાનિક સ્તરે જળવાઇ રહે તે સૌની સહિયારી જવાબદારી છે. પટેલે ‘સ્વાગત’માં રજુ થતાં પ્રશ્નો અને રજૂઆતો સંબંધિત વિભાગો, ખાતાના વડાઓને ઓનલાઇન મોકલવામાં આવે છે તેનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે આવી રજૂઆતોના નિયત સમયમાં ઉકેલ અને તે અંગેની વિગતો પણ ઓનલાઇન કરાય તેની મોનિટરીંગ વ્યવસ્થા નોડલ અધિકારીઓ અચૂક પણે ગોઠવે.

Most Popular

To Top