ગાંધીનગર: આપના (AAP) સીએમ (CM) પદના દાવેદાર એવા ઈશુદાન ગઢવી સૌરાષ્ટ્રમાં દ્વારકા બેઠક પરથી ચૂંટણી (Election) લડે તેવા ચક્રો ગતિમાન થયા છે. હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત થઈ નથી પરંતુ ગઢવી આ બેઠક પરથી ચૂંટણી લડશે, તેવું આપના આંતરિક સૂત્રો કહી રહ્યા છે. બીજી તરફ મહેસાણાની દૂધ સાગર ડેરીમાં ભ્રષ્ટાચારના કારણોસર ધરપકડ કરાયેલા પૂર્વ કેબીનેટ મંત્રી વિપુલ ચૌધરી હવે આપના વિસનગર બેઠકના ઉમેદવાર તરીકે ચૂંટણી લડે તેવી સંભાવના છે. અર્બુદા સેનાના મહામંત્રી રાજુ ચૌધરીએ કહયું હતું કે વિસનગર બેઠક પર ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલને હવે ટક્કાર આપવા માટે વિપુલ ચૌધરી વિસનગર બેઠક પરથી ચૂંટણી લડશે. જો કે આપ દ્વારા તેની કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. વિપુલ ચૌધરી અર્બુદા સેનાના પ્રમુખ પણ છે. વિપુલ ચૌધરીની ધરપકડ બાદ અર્બુદા સેના હવે આંદોલન સાથે મેદાનમાં આવી ગઈ છે.