ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારતીય નાગરિકોને ઈરાનમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે, ત્યારે એક પ્રશ્ન ફરી ચર્ચામાં છે: શા માટે ભારતીય વિદ્યાર્થીઓ તબીબી અભ્યાસ માટે વિદેશ જાય છે? અને કાશ્મીરી વિદ્યાર્થીઓ માટે ઈરાન કેમ ખાસ છે? વિદેશ મંત્રાલયના ભારતીય વિદ્યાર્થીઓના અંદાજિત ડેટા અનુસાર, 2022 માં, લગભગ 2,050 વિદ્યાર્થીઓ ઈરાનમાં નોંધાયા હતા, જે મોટાભાગે તબીબી અભ્યાસ માટે ગયા હતા. તેહરાન યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સ, શાહિદ બેહેશ્તી યુનિવર્સિટી અને ઇસ્લામિક આઝાદ યુનિવર્સિટી જેવી સંસ્થાઓમાં પ્રવેશ મેળવ્યો હતો. આ વિદ્યાર્થીઓમાં નોંધપાત્ર સંખ્યા કાશ્મીરના છે.
આ પહેલી વાર નથી જ્યારે કોઈ કટોકટીએ ભારતના વિદેશ જતા તબીબી શિક્ષણના સ્તરને ઉજાગર કર્યું હોય. 2022 માં, રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન, ભારત સરકારે ‘ઓપરેશન ગંગા’ હેઠળ હજારો તબીબી વિદ્યાર્થીઓને ત્યાંથી બહાર કાઢવા પડ્યા હતા. ભારતમાં મેડિકલ બેઠકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. 2014 માં લગભગ 51,000 MBBS બેઠકો જે 2024 માં 1.18 લાખ થઇ છે છતાં હજારો વિદ્યાર્થીઓ વિદેશમાં મેડિકલ શિક્ષણ મેળવવાનું ચાલુ રાખે છે. આ વલણ ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામિનેશન (FMGE) માં બેસતા ઉમેદવારોની વધતી સંખ્યામાં દેખાય છે, જે વિદેશમાં અભ્યાસ કર્યા પછી ભારતમાં આ અંગેની એક પરીક્ષા પાસ કરવી પણ ફરજિયાત છે.
2024 માં લગભગ 79,000 વિદ્યાર્થીઓએ FMGE માં હાજરી આપી હતી, જે 2023 માં 61,616 અને 2022 માં 52,000 જેટલી હતી. દેશમાં MBBS બેઠકોની સંખ્યામાં વધારો થયો છે, છતાં આ ક્ષેત્ર સ્પર્ધાત્મક રહ્યું છે. સરકારી કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓએ ખૂબ જ સારો રેન્ક મેળવવો પડે છે. 2024 માં 1 લાખથી વધુ MBBS બેઠકો માટે 22.7 લાખથી વધુ ઉમેદવારોએ NEET-UG પરીક્ષા આપી હતી. આમાંથી માત્ર અડધી બેઠકો સરકારી કોલેજોમાં છે. બાકીની ખાનગી સંસ્થાઓમાં છે, જ્યાં ખર્ચ વધારે છે. 50 હજાર રેન્ક મેળવનાર ઉમેદવાર સારી ખાનગી કોલેજમાં પ્રવેશ મેળવી શકે છે, પરંતુ ફી કરોડોમાં પહોંચી શકે છે.
દેશમાં કેટલા લોકોને તે પરવડી શકે છે? તે ફક્ત સરળ અર્થશાસ્ત્ર છે જે વિદ્યાર્થીઓને અન્ય દેશોમાં તબીબી શિક્ષણ મેળવવા માટે પ્રેરે છે. તેઓ કેટલાક દેશોમાં દસમા ભાગના ખર્ચે ડિગ્રી મેળવી શકે છે. જ્યારે પરવડે તેવી કિંમત ઘણા ભારતીય વિદ્યાર્થીઓને વિદેશમાં આકર્ષે છે, ત્યારે ઈરાન કાશ્મીર ખીણના લોકો માટે એક અનોખું આકર્ષણ ધરાવે છે. તેમના માટે, પસંદગી ફક્ત અર્થતંત્ર દ્વારા જ નહીં, પરંતુ સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધો પણ અહીં મહત્વનું ફેક્ટર છે. લાંબા સમયથી કાશ્મીરને ઈરાન-એ-સગીર અથવા ઈરાન માઈનોર કહેવામાં આવે છે.
કાશ્મીરની ભૂગોળ અને કાશ્મીરની સંસ્કૃતિ ઈરાન જેવી જ છે. જૂના સમયમાં, તેઓ હંમેશા કાશ્મીરને એક રીતે ઈરાનનો ભાગ માનતા હતા. જમ્મુ કાશ્મીરમાં રહેતા એક વાલીએ જણાવ્યું હતું કે, તેમની પુત્રીએ નીટની પરીક્ષા આપી હતી, પરંતુ તેમાં સફળ ન થઈ શકી. ત્યાર પછી તેમણે તેને ઈરાન મોકલવાનો નિર્ણય કર્યો, કેમ કે ત્યાં એમબીબીએસનો અભ્યાસ બીજા દેશોની સરખામણીએ ખૂબ સસ્તો છે. ભારતીય વિદ્યાર્થી મેડિકલના અભ્યાસ માટે યુક્રેન જેવા દેશોમાં પણ જાય છે, પરંતુ ત્યાં પરિસ્થિતિ ખરાબ હોવાના લીધે હવે તેઓ ઈરાન તરફ જઈ રહ્યા છે.
ઈરાનમાં છ વર્ષના એમબીબીએસની કુલ ફી લગભગ 15થી 30 લાખ રૂપિયા છે, જ્યારે બાંગ્લાદેશમાં આ ફી બે ગણી એટલે કે 60 લાખ રૂપિયા સુધી હોય છે. આ ઉપરાંત ઈરાનમાં શિષ્યવૃત્તિ પણ સારી મળે છે, આ કારણે અહીંના વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં ઈરાન તરફ જઈ રહ્યા છે. વિદેશમાં શિક્ષણ અપાવતી સંસ્થાઓ અનુસાર, બીજા દેશોની સરખામણીએ ઈરાનમાં ખૂબ ઓછી ફી છે. કાશ્મીરનાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ ઈરાન જવાનું એક મોટું કારણ ઓછી ફીની સાથોસાથ ત્યાંનાં રહેણીકહેણી અને વાતાવરણ પણ છે, જે તેમને પોતાના ઘર જેવો અહેસાસ કરાવે છે.
દુનિયાભરના શિયા મુસલમાનો માટે ધાર્મિક શિક્ષણનું એક મુખ્ય કેન્દ્ર હવે ઈરાન બની ચૂક્યું છે. જોકે, ઇરાકના નઝફ અને સીરિયાનાં દમાસ્કસ શહેરમાં પણ વિદ્યાર્થીઓ ધાર્મિક શિક્ષણ મેળવે છે. પરંતુ, ઇરાકમાં સદ્દામ હુસૈનના શાસનકાળ દરમિયાન ધાર્મિક શિક્ષણનું કેન્દ્ર ધીરે ધીરે ઈરાન તરફ શિફ્ટ થઈ ગયું. અહીંનાં મશહદ અને કુમ શહેરોમાં વિદ્યાર્થીઓ ધાર્મિક શિક્ષણ લેવા માટે આવે છે. ઈરાનમાં જે ભારતીય વિદ્યાર્થીઓ ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત કરવાના હેતુથી જાય છે, તેમના માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે.
તેમના અભ્યાસનો સમગ્ર ખર્ચ ઈરાની સરકાર ઉઠાવે છે. કુમ શહેર તહેરાનથી લગભગ 150 કિલોમીટર દૂર આવેલું છે, ધાર્મિક શિક્ષણનું એક મોટું કેન્દ્ર છે. અહીં પાંચથી છ મુખ્ય મદરેસા છે, જેમાં આધુનિક શિક્ષણની સાથે સાથે ધાર્મિક શિક્ષણ પણ આપવામાં આવે છે. ઈરાનના મશહદ અને કુમ, બંને શહેર શિયા મુસલમાનો માટે ધાર્મિક રીતે ખૂબ મહત્ત્વપૂર્ણ મનાય છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તણાવ હવે ચરમસીમાએ છે. આજે શનિવારે અમેરિકા અને ઈઝરાયેલે ઈરાનના વિવિધ શહેરો પર ભીષણ હવાઈ હુમલા કર્યા છે.
ઈરાનની સરકારી સમાચાર સંસ્થા ‘IRNA’ ના દાવા મુજબ, દક્ષિણ ઈરાનના મિનાબ શહેરમાં આવેલી એક ગર્લ્સ સ્કૂલ હુમલાની ઝપેટમાં આવી ગઈ. જેમાં દાવા મુજબ 36 વિદ્યાર્થિનીઓના મોત થયા છે. સુરક્ષાને ધ્યાને રાખી શાળા અને કોલેજોને બંધ કરવામાં આવી છે, સરકારી કચેરીઓ પણ અડધી ક્ષમતાથી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શાળા પર થયેલા હુમલામાં મોટી સંખ્યામાં નિર્દોષ વિદ્યાર્થિનીઓના મોતે આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને ઈઝરાયલની કાર્યવાહી પર સવાલ ઉભા થયા છે.
ઇરાનમાં ઉચ્ચશિક્ષણ મેળવવા જનારા ભારતીય વિદ્યાર્થીઓમાં જમ્મુ અને કાશ્મીરના વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ વધુ છે કારણ કે, અહીં કેટલીક યુનિવર્સિટીમાં ધાર્મિક શિક્ષણ લેનાર વિદેશી વિદ્યાર્થીઓને અપાતી શિષ્યવૃતિમાંથી તેમનો ત્યાં રહેવાનો અને જમવાનો ખર્ચ નીકળી જાય છે. હવે જ્યારે યુદ્ધ શરુ થયું છે ત્યારે અહીં ભારતના અનેક વિદ્યાર્થી ફસાઇ ગયા છે. થોડા સમય પહેલા જ ભારતે ત્યાં રહેતા ભારતીયો માટે એક માર્ગદર્શિકા બહાર પાડી હતી જેમાં તેમને ઇરાન વહેલી તકે છોડી દેવા જણાવવામાં આવ્યું હતું. પરંતુ અહીં એમબીબીએસની પરીક્ષા શરુ થવાની હોવાના કારણે તેઓ દેશ છોડી શક્યા ન હતા.