SURAT

સુરત: પરિણીતા રાજકોટથી સુરત આવી અને પતિ પાસે છૂટાછેડા માંગ્યા, પતિએ થોડા સમય માંગતા…

સુરત: સિંગણપોર ગામ ખાતે આવેલી ઓમકાર રેસિડેન્સીમાં રહેતી 28 વર્ષિય પરિણીતાએ પતિ (Husband) પાસે છૂટાછેડાની (Divorce) માંગણી કર્યા બાદ આપઘાત (Suicide) કરી લીધો હતો. પતિએ જવાબ આપવા માટે થોડો સમય માંગ્યો હતો. જો કે, પત્નીએ ઝેરી દવા પી લીધી હતી. આ બનાવ અંગે પોલીસે (Police) જણાવ્યું હતું કે, પતિ કામ-ધંધો ન કરતો હોવાથી પત્નીએ છૂટાછેડા માંગ્યા હતા.

સિંગણપોર પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર સિંગણપોર ગામ મહર્ષિ પ્રાથમિક શાળાની નજીક આવેલી ઓમકાર રેસિડેન્સીમાં રહેતી 28 વર્ષિય બીનાબેન પાભારીએ મંગળવારે સવારે 11 વાગ્યે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. મૃતકના પતિ આનંદ પાભારીએ જણાવ્યું હતું કે, બીના ગત તા.૧૧ નવેમ્બરે રાજકોટ આનંદના પિતાના ઘરે ગઇ હતી. અને ૧૩ નવેમ્બરે રાજકોટથી બીનાએ આનંદને ફોન કર્યો હતો અને અચાનક છૂટાછેડાની માંગણી કરી હતી. તેણીને સમજાવીને સુરત બોલાવી લીધી હતી.

મંગળવારે સવારે જ બીના સુરત આવી હતી. અને છૂટાછેડાની માંગણી કરી હતી. પતિ આનંદે બે દિવસનો સમય માંગ્યો હતો. જો કે, બીનાએ અંતિમ પગલું ભરી લીધું હતું. વધુમાં બીના અને આનંદનાં 7 વર્ષ પહેલાં પ્રેમલગ્ન થયાં હતાં. તેમને બે સંતાન છે. આ મામલે તપાસ કરી રહેલા સિંગણપોર પોલીસમથકના હે.કો. રાજુ પવારે જણાવ્યું હતું કે, મૃતક બીના ગઈકાલે સવારે જ રાજકોટથી સુરત આવી હતી અને પતિ કામધંધો કરતો ન હોવાથી કંટાળીને પતિ પાસે છૂટાછેડા માંગ્યા હતા. પતિએ સમય માંગ્યો હતો. જો કે, પત્ની બીનાએ કંટાળી પગલું ભરી લીધું હતું.

ઉંભેળ રહેતી પરિણીતાએ ઘરમાં પંખા સાથે સાડી બાંધી ફાંસો ખાધો
કામરેજ: ઉંભેળ સારથી કોમ્પ્લેક્સમાં પરિણીતાનો પતિ વાપી ગયો ને પત્નીએ રૂમમાં સાડી પંખા સાથે બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૂળ ઉત્તરપ્રદેશના જોનપુર જિલ્લાના દારાપુરના વતની અને હાલ સુરતના કામરેજના ઉંભેળ ગામે સારથી કોમ્પ્લેક્સમાં ફ્લેટ નં.5-501માં મુકેશ લાલબહાદુર ગુપ્તા (ઉં.વ.30) રહે છે. જે ટ્રાન્સપોર્ટમાં મેનેજર તરીકે નોકરી છે. અગાઉ સુરતના નવાગામ ડિંડોલી ખાતે માતા-પિતા સાથે રહેતો ત્યારે મુકેશને ઘરની પાછળ જ રહેતી એક સંતાનની માતા નેહા (ઉં.વ.27) સાથે પ્રેમસંબંધ થઈ જતાં બંનેએ લગ્ન કરી લીધા બાદ ઉંભેળ ખાતે રહેવા માટે આવી ગયા હતા.

એક માસ અગાઉ મુકેશ ઓફિસ કામ પતાવી ઘરે આવતાં પત્ની નેહા કોઈ સાથે મોબાઈલ ફોન પર વાતચીત કરતી હોવાથી પતિએ પૂછપરછ કરી મોબાઈલ માંગતાં પત્નીએ ફોન આપવાની ના પાડી ફોનમાં રહેલા નંબર પણ કાઢી નાંખ્યા હતા. પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં તે માતાના ઘરે જતી રહી હતી. ત્યારબાદ બંને વચ્ચે સમાધાન થઈ જતાં ફરી નેહા પતિ સાથે રહેવા માટે ઉંભેળ આવી ગઈ હતી. પતિ સાથે ચાર દિવસ ફરવા માટે પણ ગઈ હતી. બે દિવસ અગાઉ મુકેશ ટ્રાન્સપોર્ટના માલિકની સાથે વાપી ખાતે ગયો હતો. આખો દિવસ કામ પતાવી કડોદરાથી મોટરસાઈકલ લઈને ઘરે આવતા પાડોશમાં રહેતાં ગુડિયાદેવીએ મુકેશને ફોન કરીને જણાવ્યું કે, રૂમમાં પંખા સાથે સાડી વડે ફાંસો ખાઈ નેહાએ આપઘાત કર્યો હોવાનું જણાવતાં ઘરે આવી પોલીસે જાણ કરતાં કામરેજ પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top