Gujarat

1498 ગેરકાયદે બાંધકામોનું ડિમોલિશન શરૂ

ગાંધીનગર: રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આજથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ત્રણ દિવસ સુધી ચાલનારી આ કાર્યવાહીમાં કુલ 1498 ગેરકાયદે બાંધકામો તોડવામાં આવશે.

સમગ્ર ઓપરેશનને લઈને ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કડક શબ્દોમાં કહ્યું હતું કે,“જંગલેશ્વર ગુનેગારોનો અડ્ડો બની ગયો હતો.”

ડે સીએમ સંઘવીએ જણાવ્યું હતું કે વિસ્તારમાં મોટા પ્રમાણમાં કબ્જા કરીને પ્લોટ ભાડે આપવામાં આવતા હતા અને મોટાભાગના લોકો ભાડેથી રહેતા હતા. બહારથી નાના દેખાતા મકાનો અંદરથી આલીશાન હતા. ટૂંકા ગાળામાં જંગલેશ્વરમાંથી ખૂનના 8 આરોપી, મારામારીના 68 આરોપી અને બળાત્કાર-અપહરણના 19 આરોપી ઝડપાયા છે. ઉપરાંત ગેરકાયદે મંડળીના 80થી વધુ આરોપીઓ પકડાયા છે. પોલીસે 472 કિલો ગાંજો જપ્ત કર્યો છે અને ડ્રગ્સ કેસમાં 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે.

તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, “જે કોઈએ ગેરકાયદે કબજો કર્યો હશે તે દૂર કરવામાં આવશે.” ફેઝ-1ની કાર્યવાહી આવતીકાલ સાંજ સુધી પૂર્ણ કરવાની યોજના છે. ત્યારબાદ વિસ્તારમાં મૂળભૂત સુવિધાઓ ઊભી કરવા માટે કામગીરી હાથ ધરાશે. મેગા ઓપરેશનને સુવ્યવસ્થિત બનાવવા સમગ્ર વિસ્તારને 7 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. દરેક ઝોનમાં IAS અને IPS અધિકારીઓ મોનિટરિંગ કરી રહ્યા છે. મ્યુનિસિપલ કમિશનર કંટ્રોલ રૂમમાંથી સતત દેખરેખ રાખી રહ્યા છે, જ્યારે 25 સરકારી ડ્રોન કેમેરા દ્વારા સમગ્ર કાર્યવાહીનું લાઇવ મોનિટરિંગ થઈ રહ્યું છે. રાજકોટમાં ચાલી રહેલી આ ઐતિહાસિક કાર્યવાહી શહેરમાં ગેરકાયદે બાંધકામ અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કડક સંદેશ તરીકે જોવામાં આવી રહી છે.

Most Popular

To Top