National

તમિલનાડુમાં ઝેરીલો દારુ પીવાથી મૃતકોની સંખ્યા વધીને 47એ પહોંચી, 3ની ધરપકડ

નવી દિલ્હી: તમિલનાડુમાં (TamilNadu) ભેળસેળવાળો દારૂ પીવાથી 47 લોકોના મોત થયા હતા. તેમજ આ ઘટનાએ સમગ્ર દેશમાં હોબાળો મચાવી દીધો છે. આજે શુક્રવારથી વિધાનસભા સત્ર (Assembly session) શરૂ થયું હતું, ત્યારે વિપક્ષે આ મામલે હોબાળો મચાવ્યો હતો. તેમજ ઘણા ધારાસભ્યોને બળજબરીથી વિધાનસભાની બહાર કાઢી મુકવામાં આવ્યા હતા અને બાદમાં પાછા બોલાવવામાં આવ્યા હતા.

તમિલનાડુમાં વિધાનસભાનું સત્ર 29 જૂન સુધી ચાલવાનું છે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં ઝેરીલા દારુના મુદ્દે ચર્ચા નિશ્ચિત છે. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જેમને 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. તમિલનાડુ બીજેપી અધ્યક્ષ અન્નામલાઈએ આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને સમગ્ર મામલાની સીબીઆઈ તપાસની માંગ કરી છે.

શુક્રવારે તમિલનાડુ વિધાનસભામાં પ્રશ્ન સેસન દરમિયાન અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK) ના સભ્યોએ કલ્લાકુરિચીમાં ગેરકાયદેસર દેશી દારૂની ઘટનાનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો, જેના પછી ઘણા પક્ષના સભ્યોને ગૃહની બહાર મોકલી આપવામાં આવ્યા હતા. બાદમાં મુખ્યમંત્રી સ્ટાલિનની અપીલ બાદ વિપક્ષી સભ્યોની હકાલપટ્ટી રદ કરવામાં આવી હતી.

તમિલનાડુ વિધાનસભામાં વિપક્ષના નેતા કે. પલાનીસ્વામીએ જણાવ્યું હતું કે સત્ર દરમિયાન AIADMK સભ્યોએ કલ્લાકુરિચીમાં ગેરકાયદેસર દેશી દારૂની ઘટનાનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ “અમને તેમ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી અને આ કારણે પાર્ટીના સભ્યોને ગૃહની બહાર મોકલી દેવામાં આવ્યા હતા. ત્યારે તેમણે AIADMK સભ્યોને ગૃહમાંથી હાંકી કાઢવાની કાર્યવાહીને “લોકશાહીની હત્યા” ગણાવી હતી. પલાનીસ્વામીએ દાવો કર્યો હતો કે કલ્લાકુરિચીમાં ગેરકાયદેસર દેશી દારૂ પીવાથી 50 લોકોના મોત થયા હતા.

મુખ્યમંત્રીની અપીલ પર સભ્યો પરત ફર્યા
વિધાનસભાના અધ્યક્ષ એમ. અપ્પાવુએ જણાવ્યું હતું કે AIADMK સભ્યો પ્રશ્નકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવવા માગે છે, જે ગૃહના નિયમોની વિરુદ્ધ હતો. તેમણે કહ્યું કે વિધાનસભાના સભ્યો પ્રશ્નકાળ પૂરો થયા પછી શૂન્યકાળ દરમિયાન જ કોઈપણ મુદ્દો ઉઠાવી શકે છે. જ્યારે AIADMK સભ્યો તેમની માંગ પર અડગ રહ્યા, ત્યારે સ્પીકરે તેમને ગૃહની બહાર મોકલી દેવાનો આદેશ આપ્યો હતો.

એમ. અપ્પાવુએ વધુમાં જણાવ્યું હતું કે વિરોધ પક્ષના ધારાસભ્યો આજે કાર્યવાહીમાં ભાગ લઈ શકશે નહીં. બાદમાં મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને વિધાનસભા અધ્યક્ષને મુખ્ય વિપક્ષી દળના સભ્યોને ગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાની મંજૂરી આપવા અપીલ કરી હતી. અપ્પાવુએ તેમની અપીલ સ્વીકારી અને AIADMK ધારાસભ્યોને ગૃહમાં પાછા ફરવા કહ્યું હતું. તેમજ આ કૌભાંડના વિરોધમાં પલાનીસ્વામી સહિત વિપક્ષી પાર્ટીના ધારાસભ્યો કાળા શર્ટ પહેરીને વિધાનસભામાં આવ્યા હતા.

શું છે મામલો?
તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં ઘણા લોકોએ ગેરકાયદેસર રીતે બનાવાયેલો દેશી દારૂ પીધો હતો. આ પછી આ લોકોની તબિયત બગડવા લાગી અને એક પછી એક તેમજ મોત થવા લાગ્યા હતા. અત્યાર સુધીમાં ઝેરી દારૂના કારણે કુલ 47 લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે 49 વર્ષીય કે. કન્નુકુટ્ટી (ગેરકાયદે દારૂ વેચનાર)ની ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસેથી જપ્ત કરાયેલા લગભગ 200 લિટર ગેરકાયદેસર દારૂની તપાસમાં જાણવા મળ્યું હતું કે તેમાં જીવલેણ ‘મિથેનોલ’ છે. ત્યારે આ મામલામાં બેદરકારી બદલ 9 પોલીસકર્મીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

વળતરની ઘોષણા
સીએમ એમકે સ્ટાલિને ઝેરી દારૂના કારણે જીવ ગુમાવનારાઓને 10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી. તેમજ દારૂના કારણે બીમાર પડેલા લોકો માટે 50 હજાર રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ બી ગોકુલદાસને આ મામલાની તપાસ કરીને 3 મહિનામાં રિપોર્ટ આપવાનું કહેવામાં આવ્યું હતું.

Most Popular

To Top