SURAT

વિયર કમ કોઝવે નિર્માણનાં 26 વર્ષ બાદ નબળો પડ્યો હોવાથી રિપેરિંગ કરવાની જરૂરિયાત

સુરત: શહેરની પાણી (Water)ની જરૂરિયાતને પૂરી કરતો એકમાત્ર જળસ્ત્રોત (source) તાપી નદી (river tapi)માં સિંગણપોર ખાતેનો વિયર કમ કોઝવે (cozway)તેના નિર્માણનાં 26 વર્ષ બાદ નબળો પડ્યો હોવાથી હવે તેને રિપેરિંગ (repairing) કરવાની જરૂરિયાત છે.

રિપેરિંગ માટે રૂ.14.32 કરોડનું ટેન્ડર (tender) મંજૂરી માટે શાસકો સમક્ષ સ્થાયી સમિતિમાં મૂકવામાં આવ્યું હતુ તેમજ કોઝવેમાંથી હજીરા (Hazira)ના ઉદ્યોગો પણ પાણી લે છે. અને કોઝવેનું નિર્માણ પણ ઉદ્યોગોની ભાગીદારીથી જ થયું હતું. આથી મનપાએ હજીરાના ઉદ્યોગો સાથે વાતચીત કરી હોવાથી ઉદ્યોગો પણ આ ખર્ચમાં 60 ટકાની ભાગીદારી આપવા તૈયાર થયા છે. જો કે, સ્થાયી સમિતિ ચેરમેને આ ખર્ચ કરવો કેટલો વ્યાજબી છે તે અંગે યોગ્ય ચર્ચા-વિચારણા માટે દરખાસ્ત મુલતવી રાખી છે.

વર્ષ-2006ના પૂર વખતે કોઝવેને નુકસાન થતાં કરોડો રૂપિયાના ખર્ચે રિપેર કરવો પડ્યો હતો. ત્યાર બાદ વર્ષ-2013માં પણ સાડા ત્રણ લાખ ક્યુસેક જેટલું પાણી ઘણા દિવસો સુધી આવતાં કોઝવેના ડાઉન સ્ટ્રીમમાં પાણીના મારને સહન કરી કોઝવેના મુખ્ય સ્ટ્રક્ચરને કવર કરતા આરસીસી લોન્ચિંગ એપ્રોનને નુકસાન થયું હતું. આથી લાંબા ગાળાની સુરક્ષાને ધ્યાને રાખી રિપેરિંગ કરી કોઝવેની મજબૂતાઇ વધારવા માટે એસવીએનઆઇટી અને ગેરી પાસેથી લીધેલા અભિપ્રાય તેમજ કોઝવેની મૂળ કન્સલ્ટન્ટ્ન્સની સલાહ મુજબ અંદાજ બનાવાયા હતા, જેમાં 12.33 કરોડના અંદાજ સામે 16 ટકા ઊંચું ટેન્ડર એટલે કે રૂ.14.32 કરોડના ટેન્ડરને મંજૂરી આપવા શાસકોની સંમતિ માંગતી દરખાસ્ત કરવામાં સ્થાયી સમિતિમાં મૂકવામાં આવી હતી.

જો કે, સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે, કોઝવેમાં સમયાંતરે અત્યાર સુધીમાં રિપેરિંગ પાછળ 14.50 કરોડ ખર્ચાઇ ચૂક્યા છે. ત્યારે હવે વધુ 14.32 કરોડ ખર્ચ કરતાં પહેલાં તમામ પાસાં પર ચર્ચા કરાયા બાદ યોગ્ય નિર્ણય લેવાશે. સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે, બરાજ બની જાય ત્યાં સુધી એટલે કે માત્ર ચાર-પાંચ વર્ષ જ કોઝવેની જરૂર છે. એટલે આટલો મોટો ખર્ચ કરવો કે ઓછા ખર્ચે કામચલાઉ રિપેરિંગ કરવું વગેરે શક્યતા ચકાસાયા બાદ નિર્ણય લેવાશે.

Most Popular

To Top