National

‘CM અરવિંદ કેજરીવાલ જાણીજોઈને જેલમાં લો કેલરી ડાયટ લઈ રહ્યા છે..’- દિલ્હી LGનો પત્ર

નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP) દ્વારા અરવિંદ કેજરીવાલના (Arvind Kejriwal) સ્વાસ્થ્યને લઈને તિહાર જેલ પ્રશાસન અને ભાજપ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ હવે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ દિલ્હી એલજી ઓફિસના મુખ્ય સચિવને પત્ર લખ્યો હતો. તેમજ જણાવ્યું હતું કે કેજરીવાલ જાણીજોઇને સરખી ડાયટ (Diet) નથી લઇ રહ્યા.

લેફ્ટનન્ટ ગવર્નરના મુખ્ય સચિવ વીકે સક્સેનાએ આજે દિલ્હીના મુખ્ય સચિવને પત્ર લખ્યો હતો. જેમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત તંદુરસ્ત ન હોવાનું જણાવવામાં આવ્યું હતું. પત્રમાં કહેવામાં આવ્યું છે કે અરવિંદ કેજરીવાલ જેલમાં જાણીજોઈને ઓછી કેલરીવાળો ખોરાક લઈ રહ્યા છે. કેલરી ઓછી હોવાને કારણે તેમનું વજન ઘટી રહ્યું છે. કેજરીવાલ યોગ્ય આહાર લઈ રહ્યા નથી. તેમજ 6 જૂનથી 13 જુલાઈ વચ્ચે યોગ્ય આહાર લેવામાં આવ્યો ન હતો અને કેજરીવાલ ડાયટ ચાર્ટને અનુસરતા નથી.

પત્રમાં જેલ અધિક્ષકના અહેવાલને ટાંકીને લખવામાં આવ્યું હતું કે એલજીએ મુખ્યમંત્રી દ્વારા સૂચવવામાં આવેલ તબીબી આહાર અને દવાઓનું સેવન ન કરવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેજરીવાલ જાણીજોઈને ઓછી કેલરીવાળો ખોરાક લે છે. તેમજ તેઓ ડોકટરો દ્વારા આપવામાં આવેલ ડાયટ ચાર્ટનું પાલન કરી રહ્યા નથી.

એલજી ઓફિસ દ્વારા લખવામાં આવેલા પત્ર અંગે આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યું, ‘એલજી સાહેબ તમે શું મજાક કરી રહ્યા છો? શું કોઈ માણસ રાત્રે સુગર ઘટાડશે? જે ખૂબ જ જોખમી છે. એલજી સાહેબ જો તમને રોગ વિશે ખબર ન હોય તો તમારે આવો પત્ર ન લખવો જોઈએ. ભગવાન ના કરે કે તમારા પર ક્યારેય એવો સમય આવે.

બીજી તરફ દિલ્હી સરકારના મંત્રી આતિષીએ કહ્યું કે, ‘ભાજપ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે. સીએમ અરવિંદ કેજરીવાલનું સુગર લેવલ આઠ કરતા વધુ વખત 50 થી નીચે ગગડ્યું છે. જેના કારણે તેઓ કોમામાં જઈ શકે છે. આવી સ્થિતિમાં બ્રેઈન સ્ટ્રોકનો ખતરો પણ રહે છે.

આતિષીના આરોપો બાદ દિલ્હી પ્રદેશ ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું હતું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વધુ એક ષડયંત્રનો પર્દાફાશ થયો છે. તિહાર જેલના સુપરિન્ટેન્ડેન્ટનો પત્ર સાર્વજનિક થઈ ગયો છે. તેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે કોર્ટના આદેશ બાદ અરવિંદ કેજરીવાલને ઘરે બનાવેલું ભોજન આપવામાં આવે છે. જેમાં 6 જૂન અને 13 જુલાઈ વચ્ચે જાણી જોઈને તેમને ઓછી કેલરીવાળો ખોરાક આપવામાં આવે છે. કેજરીવાલ સતત પોતાના આહારમાં ઘટાડો કરી રહ્યા છે જેથી તેમનું વજન ઓછું થઇ રહ્યું છે. તેમજ સહાનુભૂતિ જોઈએ છે.

Most Popular

To Top